Dharmlok: દોષ-પરદોષ: બીજાનાં દોષો જોવાને બદલે સારી બાબતો જોવાની ટેવ પાડો!

- ચેતન એસ. ત્રિવેદી
જો તમે બીજાનાં દોષો જોવાને બદલે એમનામાં રહેલી સારી બાબતો જોવાની ટેવ પડી હશે તો તમારો સ્વભાવ આનંદી હશે. અને જીવન મઝા પડે તેવી સહજતાથી જીવતા હશો તો તણાવ નહીં થાય. જો તમે સારા મિત્રો મેળવી શક્યા હશો અને ઘરનાં બધા સારા એવા પ્રેમાળ હશે તો તમે ગમે તેવી મુશ્કેલીઓમાંથી કે માંદગીથી સારી રીતે પાર ઉતરી શકો. જેમને રમત, વાંચન, સંગત કે એવી કોઈ હોબી (શોખ) હોય છે એમને હમેશાં સારી રીતે જીવન જીવવા માટે જરૂરી જે વિવિધતા, નવીનતા, સ્પર્ધા અને પડકાર જોઈતા હોય છે તે મળતા જ રહે છે. વધારામાં એમને હાસ્યવિનોદ અને આનંદ તો મળે જ છે. કહેવત છે કે "તમે જુવાન ના થઈ શકો એટલા વૃધ્ધ કોઈ દિવસ નથી હોતા." આ વાક્ય યાદ રાખી કોઈ હોબી ના હોય તો શરૂ કરજો. જેમનો સ્વભાવ બીજાને આનંદ પ્રગટાવવાનો કે મદદરૂપ થવાનો છે એમનું જીવન આનંદરૂપ જ હોય છે ને તેથી તેમને માનસિક તણાવ લાગતો નથી.
"આકીયો ટાની" નામના વિચારકે સાચુ જ લખ્યું છે કે "વિચારો બદલશો તો વર્તન બદલાશે, વર્તન બદલશો તો ટેવો બદલાશે, ટેવો બદલશો તો વ્યક્તિત્વ બદલાશે અને જો વ્યક્તિત્વ બદલાશે તો તમારું ભાવિ બદલાઈ જશે." જીવનમાં પ્રસંગો તો બનતા જ રહેવાનાં અને તમે અનેક વ્યક્તિઓનાં સંપર્કમાં પણ આવવાના આ પ્રસંગો અને વ્યક્તિઓ પ્રતિ તમે કઈ રીતે જુઓ છો એનો આધાર તમારા સ્વભાવ પર રહેવાનો. જો તમે તણાવથી પીડાતા હશો તો તમને નહીં ગમતા પ્રસંગોથી તણાવમાં વધારો થતો રહેવાનો જ. તે તમે છેવટે કોઈ રોગના ભોગ બનવાના આ માટે જરૂરી તો એ છે કે તમે કાબુ બહારના અને કાબુમાં લઈ શકાય એવી બાબતોની જુદી જુદી યાદો બનાવો. હવામાન, ઉપરી અમલદારનું વર્તન, રસ્તા પરનો ટ્રાફિક વગેરે કાબુ બહારની બાબતો છે. પણ જે પ્રસંગો પર આપણો કાબુ છે. દા.ત. બજારની ખરીદી, લગ્ન, પર્યટન, મિત્રોને મળવું વગેરે એ અંગે પુરો વિચાર કરી એમાં જરૂરી ફેરફારો કરી એમને લીધે તણાવ ના થાય એવું ગોઠવો. તમારા સારા જીવન માટે આયોજન કરો એમાં તમારા પ્રિયજનો, બાળકોને મિત્રો માટે પૂરતો સમય રાખવાનું અને એ સમય આનંદ-પ્રમોદમાં ગાળવાનું ન ભૂલો.
સર્ઝનહારે બનાવેલાં આ શરીરરૂપી યંત્રને જો એમણે રાખેલી અપેક્ષા પ્રમાણે નહીં વાપરીયે તો એ સારી રીતે કામ કરી શકે એવું નહીં રહે. જેમને દિવસનો મોટો ભાગ રોટલો મેળવવા મજૂરી કરવી પડે છે. એમની તંદુરસ્તી, જો એમને શરીરને પૂરતું પોષણ મળે તેવો ખોરાક મળતો હશે તો મોટે ભાગે સારી જ હશે. લાંબા સમય માટે થાક્યા વિના કામ કરવાની સહનશક્તિ હોય તો એ શરીરને તંદુરસ્ત કરી શકાય.
તમારા ધર્મ પ્રમાણે જે સર્જનહારમાં તમે માનતા હો એની પ્રાર્થના કરવી, સવાર-સાંજ પાંચ મિનિટ કાઢી શાંત ચિત્તે બેસવાની ટેવ પાડશો તો થોડા દિવસમાં તમને માનસિક શાંતિનો અનુભવ થશે. અને તણાવ ઘટશે. છેવટે જે કંઈ કરો કે કરવાનું આવે તે કામ દ્વારા પ્રેમથી અને કાળજીથી કરો ને એ કામ બહુ સારુ થાય એ જુઓ. આમ કરવાથી તમને સારુ કામ કરવાનો આનંદ મળશે. માનસિક શાંતિ મળશે અને તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. કોઈ પણ દેશની પ્રગતિ દેશનું ઉત્પાદન એ દેશનાં રહેવાસીઓની કામ કરવાની શક્તિ અને દાનત પર આધાર રાખે છે. આજે મોટા ભાગના લોકો લાંબુ જીવે છે. મોંઘવારી એ માઝા મુકી છે ને દાક્તરી સારવાર સામાન્ય માનવીને પોષાય તેવી રહી નથી. ત્યારે એમની તંદુરસ્તી સારી રહે અને એ પોતાની જાતને, કુટુંબને અને રાષ્ટ્રને વધુ ઉપયોગી બને એ બહુ જ અગત્યની વાત બની જાય છે.

