Chitralok : 'કોહરા-૨'ના લેખક ગુંજિત ચોપરાની વ્યથા: હિટ શો આપ્યા પછી પણ લેખકોના હાથ તો ખાલી જ રહે છે

સોર્સ : gstv
'કોહરા સિઝન-૨' હજુ તાજેતરમાં જ રિલીઝ થઈ અને તેને ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે તેમાંય આ બીજી સિઝનની સ્ટોરીટેલિંગ માટે લેખકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ સંદર્ભે જ 'કોહરા-ટુ'ના લેખક ગુંજિત ચોપરા કહે છે, 'સ્પોટલાઈટથી પટકથાલેખકોની વાસ્તવિકતા કંઈ બદલાઈ નથી. દરેક શો પછી અમારા હાથ તો ખાલી જ હોય છે. અમને કોઈ નાણાંકીય સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી. એક અભિનેતાને જે ફાયનાન્શિયલ સિક્યોરિટી આપવામાં આવે છે, એવું તો અમારા માટે કશું બનતું જ નથી. આપણે પટકથા-લેખકો માટે વધુ કંઈક કરવાની જરૂર છે. આવું મોટા ભાગના લેખકો વિચારે છે. મને એક વાર્તા બનાવવા દો, જે હું ઈચ્છું છું, જે નિર્માતાને ગમી જાય અને દેવી હું મારું ભાડું ચુકવી શકું...'
પંજાબના નાના શહેરમાં આકાર લેતી 'કોહરા-ટુ'ની કથા એક મર્ડર કેસની છાનબીન કરી રહેલા બે પોલીસ અધિકારીઓ ધનવંત કૌર (મોના સિંહ) અને અમરપાલ ગરુન્ડી (બરુન સોબતી)ને અનુસરે છે.
ગુંજિત ચોપરા કહે છે, 'ભારતમાં આપણે કાં તો વસ્તુઓને અકલ્પનીય રીતે વિરાટ દેખાડીએ છીએ અથવા તો 'સિંઘમ' જેવા ઝોનમાં જતા રહીએ છીએ. જ્યારે તમે હ્યુમન ડ્રામા બનાવો છો ત્યારે તમે કોઈપણ વ્યવસાયમાં માનવીયપણું શોધો છો, પછી ભલે તે પોલીસ હોય કે, ઉદ્યોગપતિ! આ જ તો વિચાર હતો 'કોહરા'ની પાછળનો...'
આ શો માત્ર એક તમાશા-નાટકને બદલે માણસના એકમેક સાથેના કનેક્શનને પ્રાથમિકતા આપે છે. આ ૩૮ વર્ષીય લેખક કહે છે, 'મેં ઘણું ઊંડુ સંશોધન કર્યું છે અને મેં પોલીસ સાથે ઘણો સમય વિતાવ્યો છે તેથી મને ખબર છે કે આ કામ કંઈ સરળ કામ તો નથી જ! પંજાબમાં એક પોલીસ સ્ટોશન હેઠળ ૬૦થી ૮૦ ગામડાંને આવરી લેવામાં આવે છે. આટલું જ નહીં, એક તપાસ અધિકારી ૭૦ થી ૮૦ કેસોના કામ કરે છે, જે કોઈ રીતે માનવીય તો નથી જ.'

