Dharmlok : બારણું ખુલ્લું, આંખો ખુલ્લી, હાથ ખુલ્લા અને મોં પણ ખુલ્લુ

- આંખ છીપ, અંતર મોતી
આશ્ચર્ય અને આઘાતભરી નજરોએ મંદિરમાં ચારે બાજુ એ જોવા લાગ્યો. માનવામાં ના આવે એવી એ દુઃખદ સ્થિતિ હતી. પૃથ્વી ફરતી હોય એવી ગભરામણ થવા લાગી.
કોઈ દિવસ ન જોવામાં આવી હોય કે ન સાંભળવામાં આવી હોય એવી આ આશ્ચર્યકારક ઘટના હતી. તો થોડીવાર પહેલાં એની સાથે કદી ન ઘટી હોય એવી એ આઘાતકારી દુર્ધટના હતી. એટલે એક તરફ એ આશ્ચર્યમુગ્ધ હતો તો બીજી તરફ એ ભય-ફફડાટથી દગ્ધ હતો.
શું કરવું અને શું ન કરવું, ક્યાં જવું અને ક્યાં કહેવું- એની મુંઝવણમાં હતો કે ભાંજગડમાં હતો, કંઈ જ સ્પષ્ટ ન હતું. પણ આ દ્રશ્ય જોયા પછી એ વધુ આશ્ચર્ય અને ભય ભીતતાથી શૂન્ય બની ગયો હતો.
હવે વધુ કાંઈ જોયા વિના અને વધુ કોઈ દુર્ધટના બને એની રાહ જોયા વિના પાછા પગલે એ બહાર નીકળ્યો. અને પછી તો એણે દોટ મૂકી અને જ્યાં શેઠિયાઓ બેઠેલા હતા. ત્યાં આવી જોરજોરથી પોક મૂકી. તે ડરવા લાગ્યો અને રડવા લાગ્યો.
ગામના બધા જ ધર્મના શેઠિયાઓ આ ગોઠિયાને શાંત કરવા લાગ્યા. તેમ તેમ એ વધુ ભયભીત થતો ગયો અને એની ચીસાચીસ વધારતો ગયો. છેવટે એને છાના રાખવાના અને સ્વસ્થ કરવાના પ્રયત્નોમાં શેઠિયાઓએ સફળતા મેળવી. ગોઠી શાંતિ થયો, સ્વસ્થ બન્યો.
શેઠિયાઓએ પૂછયું- ' અલ્યા, આટલો બધો ગભરાયેલો છે, તે થયું શું? કોઈ ભૂત પ્રેત જોયું? કોઈ ખરાબ સપનું જોયું? કે કોઈ ખરાબ ઘટના ઘટી? જે હોય તે કહી સંભળાવે તો ખબરેય પડે કે શું થયું છે? અને પછી શું કરવું છે?'
અને ગોઠીએ પોતાની વાત શરૂ કરી- ' આજે સવારે હું રોજની જેમ મંદિર ગયો. રોજ તો એ બારણું સહજતાથી ખૂલી જતું પણ આજે એ બારણું ઘણા પ્રયત્નો પછી યે ના ખૂલ્યું. એટલે હું ગભરાયો. ગભરાયો એટલે એટલો ગભરાયો કે જરાવાર માટે તો બાજુમાં ભરાયો હોઉં એવી પરિસ્થિતિ પેદા થઇ ગઈ.
મેં સાંભળ્યું હતું કે ઠાકોરે જ્યારે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાને પૂરી દીધા હતા. બારણાં બંધ કરી દીધા હતા. કોઈને દાદાના દર્શન કરવા દેતા ન હતા. ત્યારે ભક્ત હૃદય શ્રી ઉદયરત્નજી મહારાજાએ શંખેશ્વર દાદાની ' પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવ કાં આવડી વાર લાગે? આ શબ્દોથી સ્તુતિ કરી હતી, અને બારણાં ખૂલી ગયા હતા. એટલે મેં પણ ભગવાનની ખૂબ ખૂબ સ્તુતિ કરી, ત્યારે માંડ-માંડ બારણું તો ખૂલી ગયું. પણ..પણ.. જેવું મેં બારણું ખોલ્યું ત્યારે જેમ અજાણ્યા કો'ક ગુંડાઓના સ્થળે આપણે પ્રવેશીએ અને છુપાયેલા ગુંડાઓ છુપાવેલા શસ્ત્રોથી તૂટી પડે, એમ મારી ઉપર અદૃશ્ય શક્તિઓ તૂટી પડી. ગુંડાઓના ઢોરમારની જેમ માર ખાવાથી હું બેભાન બની ગયો. જડ જેવો બની ગયો.
ગાઢ નિદ્રામાં સરી ગયેલા માણસને જેમ કોઈક દિવ્ય શક્તિ સ્વપ્નના માધ્યમે કોઈક સંદેશ આપતી હોય છે. તેમ મારી એ મૂર્ચ્છા અવસ્થામાં એ દિવ્ય શક્તિએ મારી ભૂલ બતાવી. અને મારી એ ભૂલનું આ ફળ છે, એમ કહ્યું, ત્યારે ભાનમાં આવેલા એ દિવ્યશક્તિની વારંવાર કરગરી-કરગરીને ભૂલની માફી માંગી.
એટલે તે પછી મને માર પડવાનો બંધ થઈ ગયો. હું ધીરે-ધીરે ઉભો થયો. અને મંદિરની અંદરની તરફ નજર કરી. અંદરનું દ્રશ્ય જોઈ હું આભો બની ગયો. દિડમૂઢ બની ગયો. જિંદગીમાં ક્યારેય ન જોયું હોય એવું એ દ્રશ્ય હતું. એ દ્રશ્ય હું જોઈ જ ના શક્યો. ત્યાં ઉભો પણ ના રહી શક્યો. અને દોડતો તથા બૂમો પાડતો અહીં આવી પહોંચ્યો.
હવે શું કરવું એ મને કશું નથી સમજાતું. શું થશે હવે આગળ તેની કલ્પના પણ કરી નથી શકાતી. મેં તમને બધું કહી દીધું. હવે તમે આગળનું વિચારો અને આગળનું પગલું ભરો?
આટલું કહીને એ ઉભો રહ્યો. ડરથી એ ચારેબાજુ ગભરૂ આંખે જોઈ રહ્યો હતો. શેઠિયાઓએ પૂછયું-' પણ તે મંદિરમાં જોયું શું, એ તો કહે.'
'એ તમે ત્યાં જઈ જાતે જોઈ લેજો.' ગોઠીએ જવાબ આપ્યો.
હવે બધા શેઠિયાઓ વગેરે સંપૂર્ણ રસાલો મંદિરે પહોંચ્યો. મંદિરનું બારણું ભીડાયેલું હતું. એ ખોલવામાં આવ્યું. સામેનું દ્રશ્ય જોયા પછી બધાની આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ. હાથ પણ જોડાયા પહેલાના ખુલ્લાને ખુલ્લા જ રહી ગયા.
બારણું ખુલ્લું, આખો ખુલ્લી, હાથ ખુલ્લા.. એટલું જ નહિ, એ વખતનું આશ્ચર્ય જોઈને બધાંના મોં પણ ખુલ્લા રહી ગયા.. ' આ શું ?'
બારણું ખુલ્લું છે, પણ બધાના પગ જાણે થંભી ગયા છે, બંધાઈ ગયા છે. કોઈ આગળ નથી વધતું. કોઈએ મંદિરમાં પ્રવેશવા આગળ નથી વધતા. મંદિરની અંદર જવાની કોઈની હિંમત નથી. બોલનારા બહાદુરો બધા જ ત્યાં નબળા-બાયલા બની ગયા હતા.
મંદિરની અંદરથી નજર હટાવી બહાર તરફ ફેરવે છે. કોઈ અંદર જાય છે, એ જાણવા આતુર સૌ માણસો એકબીજા તરફ નજર ફેરવી રહ્યા છે. પણ કોઈ તૈયાર થતું નથી.
બધાને ડર છે કે આપણી સ્થિતિ ગોઠી જેવી ના થાય. તેને જેવો માર પડયો એવો માર ખાવા કોઈ તૈયાર નથી.
ત્યાં શું થાય છે ? કોણ પ્રવેશે છે અદંર (આવતા અંકે)
- આચાર્ય રાજહંસ

