Travel Places / હરિદ્વારમાં પંચ તીર્થ તરીકે પ્રખ્યાત છે આ પાંચ સ્થળો, અહીંની મુલાકાત લેવાથી મનને મળશે શાંતિ

હરિદ્વારનું નામ સાંભળતા જ લોકોને હર કી પૌડી અને ગંગા આરતીની યાદ આવે છે. આ સ્થળોનું આધ્યાત્મિક મહત્ત્વ ખૂબ જ વધારે છે. જો તમે હરિદ્વારની યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો અહીં પંચ તીર્થ (પાંચ તીર્થસ્થાનો) તરીકે ઓળખાતા સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલશો. આ સ્થળોની મુલાકાત લેવાથી મનને શાંતિ તો મળે જ છે, પરંતુ સાથે જ પુણ્ય પણ મળે છે તેવું માનવામાં આવે છે. અહીં અસંખ્ય મંદિરો છે, જે દૂર-દૂરથી આવતા મુલાકાતીઓને આકર્ષે છે. આ પંચ તીર્થ સ્થળોની મુલાકાત લીધા વિના હરિદ્વારની તમારી યાત્રા અધૂરી રહી જશે.
હર કી પૌડી
હર કી પૌડી હરિદ્વારના પંચ તીર્થ સ્થળોમાંનું પ્રથમ સ્થાન છે. જ્યાં લોકો ગંગા આરતી જુએ છે અને ગંગા દર્શન સાથે અહીં ગંગામાં સ્નાન કરે છે. હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. હર કી પૌડીને બ્રહ્મ કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મનસા દેવી મંદિર
પંચ તીર્થમાં મનસા દેવી મંદિર બીજા ક્રમે છે. બિલ્વ પર્વત પર સ્થિત આ મંદિર સુધી પહોંચવા માટે સામાન્ય રીતે ટ્રેકિંગ કરવામાં આવે છે. જોકે, હવે એક રોપવે બનાવવામાં આવ્યો છે, જેનાથી વૃદ્ધો અને અસમર્થ લોકો માટે પ્રવેશ સરળ બને છે. આ મંદિર મનસા દેવીને સમર્પિત છે. અહીં લોકોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
ચંડી દેવી મંદિર
હરિદ્વારના પંચ તીર્થમાં આગળનું સ્થાન ચંડી દેવી મંદિર છે, જે નીલ પર્વત પર સ્થિત છે. આ મંદિરમાં દેવી ચંડી બિરાજમાન છે. દરેક ઋતુઓમાં આ મંદિર સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી અને કુંભ મેળો છે. આ મંદિર સુધી પહોંચવા માટે ટ્રેકિંગ કરી શકાય છે અથવા તમે રોપવેનો ઉપયોગ પણ કરી શકો છો.
દક્ષેશ્વર મહાદેવ મંદિર, કનખલ
હરિદ્વારથી 4 કિમી દૂર આવેલું એક નાનું સ્થળ કનખલ, હરિદ્વારના પંચ તીર્થમાં ગણાય છે. દક્ષેશ્વર મહાદેવ મંદિર અહીં આવેલું છે, જે ભગવાન શિવ અને દક્ષના પુત્રી માતા સતીને સમર્પિત છે. અહીં એક હજાર વર્ષ જૂનું વડનું ઝાડ ઉભું છે અને મંદિરની દિવાલો રાજા દક્ષ અને મંદિરની વાર્તાઓ દર્શાવે છે. મંદિરની નજીક સતી કુંડ છે. એવું માનવામાં આવે છે કે આ એ જ કુંડ છે જ્યાં માતા સતીએ હવનની અગ્નિમાં આત્મદાહ કર્યો હતો.
કુશાવર્ત
આ હરિદ્વારમાં પવિત્ર ગંગા ઘાટ છે, જે ઘણી ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલ છે. આ ઘાટનું નામ કુશા પડવા પાછળની માન્યતા એ છે કે અહીં પર કુશા નામનું ઘાસ ગંગા નદીના પ્રવાહમાં ઉગે છે અને જ્યારે ઋષિ દત્તાત્રેય તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે માતા ગંગાએ તેમની તપસ્યામાં વિક્ષેપ ન પડે તે માટે કુશાને ઉખડવા નહતું દીધું. બીજી એક માન્યતા એવી છે કે ભગવાન રામે આ જ ઘાટ પર રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. બીજી એક માન્યતા એવી છે કે પાંડવોએ પણ આ જ ઘાટ પર પિંડદાન કર્યું હતું. આ ગંગા ઘાટ હરિદ્વારના પંચ તીર્થમાં ગણાય છે. જો તમે હરિદ્વારની યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો આ પાંચ પવિત્ર સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલશો.

