Travel destination : કુદરતના ખોળે વસેલા ઉત્તરાખંડના 5 સ્થળો, જ્યાં તમને મળશે અદભૂત શાંતિ

ગુજરાતના રહેવાસીઓ ઉનાળાનું વેકેશન પડતાની સાથે જ પહાડો પર જવાનો પ્લાન બનાવવા લાગે છે. પરંતુ જો તમે શિમલા, મસૂરી અને કુલુ જેવી જગ્યાઓ પર જઈને કંટાળી ગયા હોવ, તો આ ઉનાળામાં ઉત્તરાખંડના આ 5 'ઓફબીટ' (બહુ જાણીતા ન હોય તેવા) સ્થળોની મુલાકાત લો. અહીં તમને સુંદર નજારાની સાથે શાંતિ અને પ્રકૃતિની નજીક રહેવાની તક મળશે. જો તમે ફેમિલી ટ્રિપ અથવા મિત્રો સાથે ટ્રેકિંગ પર જવા માંગતા હોવ, તો આ સ્થળો એકવાર જરૂર જોજો, તમને વારંવાર ત્યાં જવાનું મન થશે.
1. પિયોડા ગામ (Peora)
ઉત્તરાખંડમાં નૈનીતાલથી આગળ મુક્તેશ્વર પાસે પિયોડા નામનું એક સુંદર ગામ આવેલું છે. સાડા છ હજાર ફૂટની ઊંચાઈ પર વસેલું આ ગામ મુક્તેશ્વરથી માત્ર 10 કિમી દૂર છે. અહીં નજીકમાં જ નદી કિનારે કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પહાડોના સુંદર નજારા સાથે અહીં બધું જ દેશી અને લોકલ જોવા મળશે. જો તમે શાંતિમાં થોડા દિવસ વિતાવવા માંગતા હોવ તો અહીં હોટલ ઉપરાંત ઘણા હોમ-સ્ટે (Home Stay) પણ મળી જશે.
2. ખિરસુ (Khirsu)
રજાઓ માટે જો તમે કોઈ અજાણી અને સુંદર જગ્યા શોધી રહ્યા હોવ, તો ખિરસુ બેસ્ટ પ્લેસ છે. આ એક નાનકડું હિલ સ્ટેશન છે જે હજુ બહુ લોકપ્રિય નથી, તેથી ત્યાં દૂર-દૂર સુધી શાંતિ જોવા મળશે. અહીં ગાઢ જંગલો અને જૂના મંદિરો આવેલા છે. એડવેન્ચરના શોખીનો અહીં કેમ્પિંગ માટે આવે છે. ખિરસુ પાસે ઘુરદૌરીનો 25 કિમીનો રસ્તો સાયકલિંગ માટે ખૂબ ફેમસ છે. આ સ્થળ પૌડી ગઢવાલથી માત્ર 15 કિમી દૂર છે.
3. ગ્વાલદમ (Gwaldam)
ગ્વાલદમ એક નાનકડું અને શાંત હિલ સ્ટેશન છે. પહાડો પર ફરવાના શોખીનો માટે આ શ્રેષ્ઠ જગ્યા છે કારણ કે અહીં બહુ ઘોંઘાટ નથી હોતો. ગ્વાલદમ બૈજનાથથી 22 કિમી અને બાગેશ્વરથી 45 કિમી દૂર છે. જો તમે નૈનીતાલ જઈ રહ્યા હોવ તો ત્યાંથી તેનું અંતર 149 કિમી છે. અહીં ઘણા સરોવરો અને પહાડોના સુંદર નજારા જોવા મળે છે, જે રોકાણ માટે ઉત્તમ છે.
4. ડાર્મા વેલી (Dharma Valley)
ડાર્મા વેલીમાં દુગજૂ અને દાંતૂ ગામ પ્રવાસીઓમાં જાણીતા છે. અહીંથી 'પંચચૂલી' પર્વતોના શિખરો દેખાય છે. ઉનાળાના વેકેશનનો આનંદ માણવા માટે આ એક શ્રેષ્ઠ અને ઠંડકવાળું સ્થળ છે.
5. કસાર દેવી (Kasar Devi)
અલમોડામાં આવેલી આ જગ્યા તેના સિદ્ધપીઠ માટે જાણીતી છે. આ સ્થળને તેની ઉચ્ચ ચુંબકીય શક્તિ (Magnetic Field) માટે ઓળખવામાં આવે છે, જેને 'વેન એલન બેલ્ટ' પણ કહેવાય છે. દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાત લે છે. જો તમે આ વેકેશનમાં નેગેટિવ એનર્જી દૂર કરીને માનસિક શાંતિ મેળવવા માંગતા હોવ, તો કસાર દેવી ચોક્કસ જજો.

