World Blood Donor Day 2025: માનવતા માટે રક્તદાનનું કેટલું મહત્ત્વ, વાંચો ખૂબ જ રસપ્રદ ઇતિહાસ

આજે 14 જૂન 2025ના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ રક્તદાન દિવસ' ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસ તે બધા રક્તદાતાઓના માનમાં સમર્પિત છે જેઓ કોઈપણ સ્વાર્થ વિના બીજાના જીવન બચાવવા માટે રક્તદાન કરે છે.
વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવાની પરંપરા ક્યારે શરૂ થઈ?
WHOની વેબસાઇટ અનુસાર, વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાની પહેલ સૌપ્રથમ 2004માં કરવામાં આવી હતી. WHO એ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ બ્લડ ડોનર ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન સાથે મળીને 14 જૂનના રોજ બ્લડ ડોનર ડે ઉજવ્યો હતો.
14 જૂન એ ડૉ. કાર્લ લેન્ડસ્ટીનરનો જન્મદિવસ હોય છે. એવું પણ કહેવાય છે કે આ દિવસ ડૉ. કાર્લને સમર્પિત છે કારણ કે તેમણે બ્લડ ગ્રુપ સિસ્ટમ (A, B, AB, O) શોધ કરી હતી. રક્તદાન અને એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં રક્ત પરિવર્તનના ક્ષેત્રમાં આ એક મહત્વપૂર્ણ યોગદાન છે. આ યોગદાન માટે કાર્લ લેન્ડસ્ટીનરને 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ વર્ષની થીમ શું છે
WHO અનુસાર, આ વર્ષે તેની થીમ 'રક્તદાન કરો, આશા આપો, સાથે મળીને જીવન બચાવો' છે. આ વર્ષની થીમ પર ભાર મૂકવામાં આવ્યો છે કે તમારું એક પગલું કોઈના જીવન પર કેવી અસર કરી શકે છે. દરેક દાન એવા દર્દીઓ માટે આશા લાવે છે જેઓ જીવલેણ રોગો સામે લડી રહ્યા છે. તેઓ ગંભીર રોગોથી પોતાના જીવન બચાવવા માટે દરેક ક્ષણે લડી રહ્યા છે.
WHO કહે છે કે વૈશ્વિક સ્તરે વાર્ષિક આશરે 118.54 મિલિયન (લગભગ 11 કરોડ 85 લાખ) રક્તદાન કરવામાં આવે છે. લગભગ 13,300 રક્ત કેન્દ્રો કુલ 169 દેશોમાં 106 મિલિયન (10 કરોડ 60 લાખ) રક્તદાન એકત્રિત કરીને રિપોર્ટ કરે છે.
અહેવાલ મુજબ, ભારતીય સેનાએ 24 ડિસેમ્બર 2022 ના રોજ દક્ષિણ રાજ્યોમાં એક વિશાળ રક્તદાન અભિયાન હાથ ધર્યું હતું, જેનો હેતુ 75મા આર્મી દિવસની ઉજવણી માટે રક્તદાનના મહત્વને પ્રોત્સાહન આપવાનો હતો. આ અભિયાન મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ સહિત 10 રાજ્યોમાં યોજવામાં આવ્યું હતું.

