Health Tips: ઠંડીમાં અસહ્ય માથાનો દુખાવો થાય છે? તો અપનાવો આ દેશી ઉપાય

શિયાળાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. આ ઋતુ ઘણાને ગમે છે, પરંતુ ઘણા લોકો માટે આ ઋતુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ લઈને આવે છે. શિયાળામાં શરદી-ઉધરસ સિવાય જે સૌથી સામાન્ય સમસ્યા જોવા મળે છે, તે છે માથાનો દુખાવો. ઠંડા પવનના સંપર્કમાં આવવાથી કે તાપમાનમાં અચાનક ઘટાડો થવાથી ઘણા લોકોને આખો દિવસ માથું ભારે લાગે છે અથવા અસહ્ય દુખાવો થાય છે. ડૉક્ટરોના મતે, આ સમસ્યાને અવગણવાને બદલે તેના કારણો સમજીને સાવચેતી રાખવી જરૂરી છે.
ઠંડા પવનનો સીધો સંપર્ક: જ્યારે ઠંડો પવન સીધો કાન કે માથાના ભાગે લાગે છે, ત્યારે રક્તવાહિનીઓમાં સંકોચન થાય છે, જે માથાના દુખાવાનું કારણ બને છે. તેથી જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માત્ર શરીર જ નહીં, પણ માથું અને કાન ઢંકાયેલા રહે તે રીતે ગરમ કપડાં પહેરો. મફલર કે ટોપીનો ઉપયોગ ઠંડા પવનને અંદર જતો અટકાવશે.
પાણીની અછત: શિયાળામાં તરસ ઓછી લાગે છે, જેના કારણે લોકો પાણી ઓછું પીવે છે. શરીરમાં પાણી ઘટવાથી મગજ સુધી ઓક્સિજનનો પ્રવાહ પ્રભાવિત થાય છે અને માથું દુખવા લાગે છે. તેથી ભલે તરસ ન લાગે, પણ દિવસ દરમિયાન થોડા-થોડા અંતરે હૂંફાળું પાણી પીતા રહો. તમે હર્બલ ટી અથવા સૂપનો પણ આહારમાં સમાવેશ કરી શકો છો, જે શરીરને હાઇડ્રેટેડ રાખશે.
સૂર્યપ્રકાશનો અભાવ: વાદળછાયું વાતાવરણ કે ધુમ્મસને કારણે સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જે શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનું સંતુલન બગાડે છે.
સાઈનસની સમસ્યા: ઠંડીમાં નાક બંધ થવું કે સાઈનસમાં સોજો આવવાને કારણે કપાળના ભાગે ભારે દબાણ અનુભવાય છે.
શિયાળાની ઋતુમાં મેગ્નેશિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ ધરાવતો ખોરાક લેવો જોઈએ. સવારે થોડીવાર કુમળા તડકામાં બેસવાથી વિટામિન-D મળશે, જે માથાના દુખાવામાં રાહત આપે છે.
ઠંડીના દિવસોમાં દિવસ ટૂંકા અને રાત લાંબી હોય છે. શરીરની આંતરિક ઘડિયાળ જાળવી રાખવા માટે 7-8 કલાકની ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. અનિયમિત ઊંઘ માઈગ્રેનને ઉત્તેજિત કરી શકે છે.
જો તમને માથાનો દુખાવો શરૂ થાય, તો દવા લેતા પહેલા કુદરતી ઉપાયો અજમાવવા જોઈએ. આદુ વાળી ચા જે આદુમાં બળતરા વિરોધી ગુણો હોય છે જે રક્તવાહિનીઓના સોજા ઘટાડે છે, નાસ લેવી જે સાઈનસને કારણે દુખાવો હોય, તો ગરમ પાણીની વરાળ લેવાથી નાકની નળીઓ ખુલશે અને રાહત મળશે, અને હૂંફાળા તેલથી માથામાં હળવા હાથે માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.
જો માથાનો દુખાવો સતત રહેતો હોય, ઉલટી જેવું થતું હોય, આંખે અંધારા આવતા હોય અથવા તાવ આવતો હોય, તો તેને ઘરેલું ઉપાયોથી મટાડવાનો પ્રયાસ ન કરો. આ કોઈ ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યા અથવા હાઈ બ્લડ પ્રેશરનો સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

