Health Tips: હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત

આજના સમયમાં હાર્ટ એટેક (Heart Attack) અને સ્ટ્રોક (Stroke)ના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ ધમનીઓમાં થતું બ્લોકેજ છે. જેમ ઘરની સફાઈ જરૂરી છે, તેમ શરીરની નસો એટલે કે ધમનીઓની સફાઈ પણ એટલી જ મહત્વની છે. ડોક્ટરે ધમનીઓને કુદરતી રીતે સાફ રાખવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે 3 અસરકારક ઉપાયો જણાવ્યા છે.
જ્યારે નસોમાં જામે છે 'પ્લેક', ત્યારે વધે છે જોખમ
જ્યારે ધમનીઓની અંદર ચરબી, કોલેસ્ટ્રોલ (Cholesterol) અને કેલ્શિયમ જેવા તત્વો જમા થાય છે, ત્યારે તેને 'પ્લેક' કહેવામાં છે. આ પ્લેકને કારણે રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, પરિણામે લોહી અને ઓક્સિજનનો પ્રવાહ ઘટી જાય છે. આ સ્થિતિમાં હૃદયને લોહી પંપ કરવા માટે વધારે જોર કરવું પડે છે, જે છાતીમાં દુખાવો અને ગંભીર હૃદયરોગનું કારણ બની શકે છે.
વિટામિન K2: કેલ્શિયમને જામતું અટકાવતું સુરક્ષા કવચ
ડૉ.ના જણાવ્યા મુજબ, ધમનીઓને કડક થતી અટકાવવા માટે 'વિટામિન K2' (Vitamin K2) રામબાણ ઈલાજ છે. આ વિટામિન શરીરમાં એવા પ્રોટીનને સક્રિય કરે છે જે કેલ્શિયમને ધમનીઓની દીવાલો પર જામતા અટકાવે છે.
સ્ત્રોત: ઈંડાની જરદી, ડેરી પ્રોડક્ટ્સ, અને આથો લાવેલો ખોરાક (Fermented Foods) વિટામિન K2 થી ભરપૂર હોય છે. સંશોધનો મુજબ, જે લોકોના ડાયટમાં આ વિટામિન પૂરતા પ્રમાણમાં હોય છે, તેમને હૃદયની બીમારીઓ થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.
સફેદ ઝેર સમાન રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સથી દૂર રહો
બીજું સૌથી મહત્વનું પગલું છે તમારા ખોરાકમાંથી રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ (Refined Carbohydrates) ઘટાડવા. સફેદ બ્રેડ, ખાંડવાળા નાસ્તા, સોફ્ટ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ ફૂડ ભલે લો-ફેટ દેખાતા હોય, પરંતુ તે રક્તવાહિનીઓમાં બળતરા (Inflammation) અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ વધારે છે. આ ખોરાક આડકતરી રીતે ધમનીઓમાં બ્લોકેજ વધારવાનું કામ કરે છે.
રોજિંદી 30 મિનિટની કસરત હૃદયને રાખશે મજબૂત
ત્રીજો અને સૌથી અકસીર ઉપાય છે શારીરિક સક્રિયતા. ડૉક્ટરની સલાહ મુજબ, તમારે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ.
શું કરવું: ચાલવું, સાયકલિંગ, સ્વિમિંગ અથવા સ્ટ્રેન્થ ટ્રેનિંગ.
ફાયદા: નિયમિત કસરતથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, વજન જળવાય છે અને પ્લેક જમા થવાની પ્રક્રિયા ધીમી પડે છે. જેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે.
નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં

