VIDEO : શું તમે પણ ભીડમાં જતાં ગભરાઓ છો? સાવધાન! આ બીમારીના હોય શકે છે સંકેત
શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર ધ્યાન આપવું પણ અત્યંત જરૂરી છે. ઘણીવાર આપણે શરીરની માંદગીને ઓળખી લઈએ છીએ, પરંતુ મનની સમસ્યાઓને નજરઅંદાજ કરીએ છીએ. વર્તમાન સમયમાં કામનું દબાણ, સોશિયલ મીડિયા પર થતી સરખામણી અને એકલતાને કારણે સ્ટ્રેસ અને એન્ઝાયટીની સમસ્યા વધી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના મતે, વિશ્વભરમાં કરોડો લોકો એન્ઝાયટી ડિસઓર્ડરથી પીડાય છે. જેમાંથી 'સોશિયલ એન્ઝાયટી ડિસઓર્ડર' (SAD) યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
શું છે સોશિયલ એન્ઝાયટી ડિસઓર્ડર (SAD)?
આને 'સોશિયલ ફોબિયા' પણ કહેવામાં આવે છે. આમાં વ્યક્તિને અજાણ્યા લોકો સાથે વાત કરવામાં, નવી જગ્યાએ જવામાં કે લોકોની વચ્ચે જવામાં ખૂબ જ ડર લાગે છે. ઘણીવાર લોકો તેને માત્ર 'શરમાળ સ્વભાવ' માની લે છે, પરંતુ આ એક માનસિક સ્થિતિ છે.
મુખ્ય લક્ષણો:
સતત એવો ડર રહેવો કે લોકો તમને જજ કરશે અથવા તમારો મજાક ઉડાવશે.
જો આ ડર 6 મહિનાથી વધુ સમય સુધી રહે અને તમારી રોજિંદી જિંદગીને અસર કરે, તો તેને ડિસઓર્ડર માનવામાં આવે છે.
આ ડિસઓર્ડરની ઓળખ કેવી રીતે કરવી?
જ્યારે વ્યક્તિ સામાજિક પરિસ્થિતિઓમાં હોય ત્યારે નીચે મુજબની સમસ્યાઓ અનુભવે છે:
નકારાત્મક મૂલ્યાંકન થવાનો ડર લાગવો.
શરમિંદા કે અપમાનિત થવાની ચિંતા થવી.
અજાણ્યા લોકો સાથે વાત કરવામાં ભારે ગભરામણ થવી.
શારીરિક લક્ષણો: ચહેરો લાલ થઈ જવો, અતિશય પરસેવો વળવો, હાથ-પગ ધ્રૂજવા અથવા વાત કરતી વખતે અવાજ લથડવો.
ભીડવાળી કે લોકોની નજરમાં આવી શકાય તેવી સ્થિતિથી બચવાનો પ્રયાસ કરવો.
આ સમસ્યા શા માટે થાય છે?
નિષ્ણાતોના મતે સોશિયલ એન્ઝાયટી પાછળ અનેક કારણો હોઈ શકે છે:
જિનેટિક ફેક્ટર્સ: જો પરિવારમાં (માતા-પિતા કે ભાઈ-બહેન) કોઈને આ સમસ્યા હોય, તો તેનું જોખમ વધી જાય છે.
બાળપણનો અનુભવ: બાળપણમાં કોઈ દુઃખદ ઘટના (Trauma), વધુ પડતી ટીકા અથવા શાળામાં ચીડવવામાં આવ્યા હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે.
હોર્મોનલ અસંતુલન: મગજમાં સેરોટોનિન (Serotonin) નામના હોર્મોનનું સ્તર બગડવાથી પણ એન્ઝાયટી થઈ શકે છે.
સારવાર માટે શું કરવું?
જો કોઈને આ ડિસઓર્ડર હોય, તો ગભરાવાની જરૂર નથી. તેનો ઈલાજ શક્ય છે:
સાયકોથેરાપી: મનોવૈજ્ઞાનિક પરામર્શ અથવા 'ટોક થેરાપી' (Talk Therapy) ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (CBT): આ થેરાપી દ્વારા વ્યક્તિના નકારાત્મક વિચારોને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
દવાઓ: ડૉક્ટરની સલાહ મુજબ અમુક દવાઓ મગજના કેમિકલ ઇમ્બેલેન્સને સુધારીને લક્ષણોમાં રાહત આપી શકે છે.

