VIDEO: Skin Care Tips / ચોમાસાની ઋતુમાં પણ શા માટે લગાવવું જોઈએ સનસ્ક્રીન? અહીં જાણો કારણ
દેશના ઘણા ભાગો હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. વરસાદને કારણે, લોકો ઘણીવાર એવું માની લે છે કે આ ઋતુ દરમિયાન સૂર્ય તેમની ત્વચાને વધુ નુકસાન નથી પહોંચાડતો અને તેથી સનસ્ક્રીન લગાવવાની કોઈ જરૂર નથી. આ જ કારણ છે કે ઘણા લોકો ચોમાસાની ઋતુ આવતાની સાથે જ તેમના સ્કિન કેર રૂટિનમાંથી સનસ્ક્રીન દૂર કરી દે છે. જો કે, ત્વચારોગ વિજ્ઞાનીઓ કહે છે કે સનસ્ક્રીન ફક્ત તડકાના દિવસો માટે જ નથી, પરંતુ તે રોજિંદા સ્કિન કેરનો પણ એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
ત્વચાને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ જરૂરી માનવામાં આવે છે. યોગ્ય સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ સ્વસ્થ ત્વચા જાળવવામાં મદદ કરી શકે છે. જોકે, જ્યારે તે તમારી ત્વચા માટે યોગ્ય રીતે પસંદ કરવામાં આવે ત્યારે તેની અસરકારકતા શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે વરસાદની ઋતુ દરમિયાન પણ સનસ્ક્રીનનો ઉપયોગ શા માટે કરવાની ભલામણ કરવામાં આવે છે, ચોમાસાની ઋતુ દરમિયાન કયા પ્રકારનું સનસ્ક્રીન પસંદ કરવું જોઈએ અને તેને લગાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ.
ચોમાસા દરમિયાન પણ સનસ્ક્રીનનો ઉપયોગ શા માટે કરવાની ભલામણ કરવામાં આવે છે?
અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી (AAD) અનુસાર, ત્વચા માત્ર તડકાના દિવસોમાં જ નહીં, પરંતુ વાદળછાયા કે વરસાદી વાતાવરણમાં પણ હાનિકારક યુવી કિરણોના સંપર્કમાં આવી શકે છે. AAD જણાવે છે કે 80% સુધી યુવી કિરણો વાદળોમાં પ્રવેશ કરી શકે છે, તેથી ચોમાસા દરમિયાન પણ ત્વચાનું રક્ષણ કરવું જરૂરી છે. રક્ષણ વિના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે.
નિયમિતપણે સનસ્ક્રીન લગાવવાથી સનબર્ન, અકાળે કરચલીઓ, ડાઘ અને યુવી નુકસાનનું જોખમ ઘટાડી શકાય છે. આ જ કારણ છે કે ત્વચારોગ વિજ્ઞાનીઓ દરેક ઋતુમાં તમારા સ્કિન કેર રૂટિનમાં સનસ્ક્રીનનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. તડકો હોય, વાદળછાયું વાતવરણ હોય કે હળવો વરસાદ હોય બહાર જતા પહેલા સનસ્ક્રીન લગાવવું ત્વચાના રક્ષણ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ચોમાસા દરમિયાન તમારે કયા પ્રકારનું સનસ્ક્રીન પસંદ કરવું જોઈએ?
બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન પસંદ કરો જે UVA અને UVB બંને કિરણો સામે રક્ષણ આપે. ઓછામાં ઓછા SPF 30 વાળા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.
જો વરસાદ પડે અથવા ઘણો પરસેવો વળે, તો વોટર-રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન પસંદ કરવાનું ફાયદાકારક હોઈ શકે છે. ઓઈલી ત્વચા ધરાવતા લોકો લાઈટ, જેલ અથવા મેટ ફિનિશ સનસ્ક્રીન પસંદ કરી શકે છે, જ્યારે ડ્રાય ત્વચા ધરાવતા લોકો મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે.
વરસાદની ઋતુમાં સનસ્ક્રીન લગાવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
બહાર નીકળવાના લગભગ 15થી 20 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવો જેથી તે ત્વચામાં સારી રીતે પ્રવેશ કરે. તેને ચહેરા, ગરદન, કાન અને હાથ સહિત ખુલ્લી ત્વચા પર લગાવવાનું ભૂલશો નહીં.
જો તમે લાંબા સમય સુધી બહાર રહો છો અથવા વારંવાર ચહેરો સાફ કરો છો, તો જરૂર મુજબ ફરીથી સનસ્ક્રીન લગાવો. ફક્ત વરસાદ પડવાને કારણે સનસ્ક્રીન લગાવવાનું ટાળવું યોગ્ય નથી. ત્વચાના રક્ષણ માટે દરરોજ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે.

