સંસદનું શિયાળુ સત્ર: લોકસભામાં પસાર થયું 'સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર' બિલ

નાણામંત્રીએ લોકસભામાં બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કર્યા હતા. જેમાં 'સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર' બિલ સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, આ બિલ હવે રાજ્યસભામાં પસાર થયા બાદ તે હાલમાં તમાકુ અને પાન મસાલા પર લાગુ થતા ‘જીએસટી ક્ષતિપૂર્તિ ઉપકર’નું સ્થાન લેશે, જેની સમય મર્યાદા માર્ચ 2026માં સમાપ્ત થઈ રહી છે. સરકારના અનુસાર, આ નવા ઉપકરનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય સંબંધિત ખર્ચાઓ માટે વધારાના સંસાધનો એકત્ર કરવાનો છે.
આ બિલ કાયદો બન્યા પછી, સરકાર સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર વધારાના કર લાગશે. સરકારના અનુસાર, આ વધેલા કરમાંથી એકત્ર થયેલું બજેટ રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉપયોગમાં લેવાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે એટલે કે આજે લોકસભામાં આની જાહેરાત કરી હતી.
પાન મસાલા જેવી વસ્તુઓ વધુ મોંઘી થશે
આ બિલ પસાર થવાથી પાન મસાલા જેવી વસ્તુઓ વધુ મોંઘી થશે. બિલ પર ચર્ચા દરમિયાન સંસદમાં લાંબી ચર્ચા થઈ. બે દિવસની ચર્ચા પછી લોકસભામાં બિલ પસાર કરવામાં આવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, 'કારગિલ યુદ્ધ તૈયારીના અભાવને કારણે થયું હતું. સેનાના જનરલોએ અહેવાલ આપ્યો હતો કે 1990ના દાયકાની શરૂઆતમાં બજેટની મર્યાદાઓને કારણે સેના પાસે ફક્ત 70-80% અધિકૃત શસ્ત્રો, દારૂગોળો અને સાધનો હતા. અમે નથી ઇચ્છતા કે ભારતમાં તે તબક્કો ક્યારેય પાછો આવે.'
આ ઉપકર રાષ્ટ્રીય સુરક્ષા મોરચે પણ મદદ કરશે: સીતારામણ
તેમણે જણાવ્યું હતું કે, 'આ બિલ જાહેર આરોગ્ય માળખાને મજબૂત બનાવવાનો માર્ગ મોકળો કરે છે. મંત્રાલયનું ધ્યાન જાહેર આરોગ્ય જોખમો ઘટાડવા પર છે. આ ઉપકર રાષ્ટ્રીય સુરક્ષા મોરચે પણ મદદ કરશે. આજનું વિશ્વ હાઇ-ટેક યુદ્ધનો યુગ છે. ચોકસાઇવાળા શસ્ત્રો, અવકાશ સંપત્તિ અને સાયબર કામગીરી જેવા ક્ષેત્રો ખૂબ ખર્ચાળ છે. ભારતને કારગિલમાં નુકસાન થયું કારણ કે બજેટ મર્યાદાઓને કારણે સેના પાસે તેના ફક્ત 70 થી 80 ટકા શસ્ત્રો અને દારૂગોળો હતો. તેમણે જણાવ્યું કે દેશ તે સ્થિતિમાં પાછો ફરવા માંગતો નથી.'
સેસ આ હાનિકારક વસ્તુઓ પર લાદવામાં આવશે
સેસ સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે. દર નિર્ધારણથી લઈને ફાળવણી સુધીની દરેક પ્રક્રિયા ગૃહની મંજૂરીને આધીન રહેશે. કલમ 7 સ્પષ્ટપણે સમગ્ર માળખાને સ્પષ્ટ કરે છે. પાન મસાલા પર ઊંચા કર અંગે તેમણે જણાવ્યું હતું કે, નુકસાનકારક વસ્તુઓ સસ્તી નહીં હોય. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય બંનેને સુનિશ્ચિત કરવા માટે આવક વધારવી જરૂરી છે. સેસ કોઈપણ આવશ્યક ચીજવસ્તુઓ પર નહીં, પરંતુ આરોગ્યને નુકસાન પહોંચાડતી હાનિકારક વસ્તુઓ પર લાદવામાં આવશે. બિલનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સામાન્ય નાગરિકો પર બોજ નાંખ્યા વિના રાષ્ટ્રીય સુરક્ષા માટે ભંડોળ ઉપલબ્ધ થાય.

