VIDEO: મહામારી ગઈ પણ મોંઘવારી રહી! સ્પેશિયલ ટ્રેનના બહાને રેલવે પ્રવાસીઓના ખિસ્સા કેમ ખાલી કરે છે?
કોરોનાકાળમાં રેલવે દ્વારા 'સ્પેશિયલ'ના નામે શરૂ કરાયેલી વધારાના ભાડાની વ્યવસ્થા કોરોના સંકટ પૂરું થયા બાદ પણ અનેક રૂટ પર મુસાફરોના ખિસ્સા પર 27 ટકા સુધીના વધુ ભાડાંનું ભારણ બની રહી છે. બીજી તરફ લાંબા અંતરની મુસાફરીમાં મુસાફરોને આર્થિક રાહત આપતી 'ટેલિસ્કોપિક ડિસ્ટન્સ બેનિફિટ' વ્યવસ્થા પણ કોરોનાકાળથી અસરકારક રીતે દૂર થતાં એક જ મુસાફરી માટે અલગ-અલગ ટિકિટ લેતા મુસાફરોને સીધો 33 ટકા જેવો આથક ફટકો પડી રહ્યો છે. હવે કોરોના ગયો, ટ્રેનો સામાન્ય થઈ ગઈ હોવા છતાં મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચાલુ છે.
જાગૃત મુસાફરોમાં રેલવેની કૂટનીતિ સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે આક્રોશ ઠાલવ્યો છે કે, કોવિડ મહામારીના સમયમાં રેલવે સેવાઓ ખોરવાતા કટોકટીના પગલારૂપે વિશેષ ભાડા માળખું દાખલ કરવામાં આવ્યું હતું. સંસદમાં અગાઉ રજૂ થયેલા સરકારી જવાબો અનુસાર પણ સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના ભાડાનું ધોરણ લાગુ હતું. પરંતુ મહામારી પૂરી થયા બાદ અને ટ્રેન વ્યવસ્થા રાબેતા મુજબ પૂર્વવત થયા પછી પણ ભાડાનો આ 'સ્પેશિયલ બોજ' સંપૂર્ણપણે હટાવવામાં આવ્યો નથી. પરિસ્થિતિ એવી છે કે આજે પણ નિયમિત ટ્રેનો જેવી જ સુવિધાઓ હોવા છતાં માત્ર નામ પૂરતી 'સ્પેશિયલ' ટેગ લગાવીને મુસાફરો પાસેથી મનસ્વી રીતે વધુ નાણાં ખંખેરવામાં આવી રહ્યા છે.
વધુમાં ભાડા વધારાની આ સમસ્યાની સાથેસાથે લાંબા અંતરના પ્રવાસીઓ માટે અગાઉ ઉપલબ્ધ એવા ટેલિસ્કોપિક ડિસ્ટન્સ બેનિફિટને પણ કોરોનાકાળથી બંધ કરી દેવામાં આવ્યો છે. રેલવેના નિયમો અનુસાર લાંબા અંતરની મુસાફરીમાં કિલોમીટર વધવાની સાથે પ્રતિ કિલોમીટર અસરકારક ભાડું ઘટતું જતું હોય છે, જે લાંબા રૂટના પ્રવાસીઓ માટે મોટો આશીર્વાદ સમાન હતું. આ સુવિધા બંધ થવાથી મુસાફરોને હવે પોઈન્ટ-ટુ-પોઈન્ટ અથવા તોડાવીને ટિકિટ કઢાવવી પડે છે, જેના કારણે ૩૩ ટકા સુધીનો મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.
ટેલિસ્કોપિક ડિસ્ટન્સ બેનિફિટનું તરકટ જોઈએ તો, રાજકોટથી હરિદ્વાર સીધી જતી સાપ્તાહિક ટ્રેનમાં 3-એસીનું ભાડું રૂપિયા 1640 છે, પરંતુ જો અન્ય દિવસોમાં સમાન અંતર કાપવું પડે તો રાજકોટથી દિલ્હી અને દિલ્હીથી હરિદ્વારની અલગ ટિકિટ લેવા પર કુલ રૂપિયા 2005 સુધીનો ખર્ચ થાય છે, જે સીધા ભાડા કરતા આશરે 33 ટકા જેટલો મોંઘો પડે છે. અગાઉ ટેલિસ્કોપિક લાભ મળવાને કારણે મુસાફરોને આ પ્રકારના વધારાના ખર્ચમાંથી રાહત મળતી હતી, પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે આ મહત્ત્વની સુવિધા પણ બંધ કરી દેવાઈ છે.

