VIDEO: 'ષડયંત્રખોરોને ન્યાયના કઠેડામાં લાવીશું', દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ પીએમ મોદીએ શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુતાનથી દિલ્હી પરત ફર્યા અને પછી ઍરપોર્ટથી સીધા LNJP હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ ઘાયલો સાથે મુલાકાત કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. હોસ્પિટલના અધિકારીઓ અને ડૉક્ટરોએ પણ તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી.
દિલ્હી LNJP હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત બાદ આ ઘટના પર પીએમ મોદીએ કહ્યું કે, 'આ ષડયંત્ર પાછળ જે લોકો છે, તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે.'
જણાવી દઈએ કે, પીએમ મોદી આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરવાના છે. પીએમ મોદીએ LNJP હોસ્પિટલમાં આશરે 20-25 મિનિટ વિતાવી, જે દરમિયાન તેમણે ઘાયલોને પૂછ્યું કે, તેમને શું મદદ મળી રહી છે. અને વધારે કોઈ ફેસિલિટીની જરૂર છે કે નહીં. આ ઉપરાંત પીએમ મોદીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘાયલોની મુલાકાતના ફોટા શેર કર્યા. સાથે જ લખ્યું કે, "હું દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે LNJP હોસ્પિટલ ગયો હતો. હું દરેકના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આ ષડયંત્ર પાછળ રહેલા લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે."

