"વોટ ચોરી આયોગ અને ભાજપનો ખેલ!" મહારાષ્ટ્રમાં 2.07 કરોડ મતદારોના નામ કપાતાં રાહુલ ગાંધીનો સનસનાટીભર્યો ધડાકો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં હાથ ધરાયેલા વિશેષ મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલી પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી પર ગંભીર સવાલો ઉઠાવીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ભારતીય ચૂંટણી પંચ (EC) પર રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, 'ભાજપ અને 'વોટ ચોરી આયોગ'ના રસ્તાઓ બદલાતા રહે છે, અને બદલાતા રહેશે. પરંતુ તેમનો એક જ હેતુ છે કે, કોઈપણ ભોગે ભાજપની જીત અને ભારતના લોકશાહીનો અંત.'
સોશિયલ મીડિયા પર રાહુલના આંકડાકીય પ્રહારો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, 'મહારાષ્ટ્રમાં 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે અચાનક 39 લાખ નવા મતદારો ઉમેરાયા હતા. મેં ત્યારે પણ કહ્યું હતું, અને આજે પણ કહું છું કે આ વોટની ચોરી હતી.' તેમણે પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, '2026ના SIR માં બંગાળમાં જે નામો કાપી નાખવામાં આવ્યા હતા, તેમાંથી 91 ટકા નામો અપીલ બાદ ફરી જોડવા પડ્યા હતા. એટલે કે દર 10 માંથી 9 નામો ખોટી રીતે કાપવામાં આવ્યા હતા, અને આ નામો ચૂંટણી પછી જ જોડવામાં આવ્યા. અને હવે મહારાષ્ટ્રમાં 2.07 કરોડ મતદારોને ડ્રાફ્ટ લિસ્ટમાંથી બહાર કરી દેવાયા છે, જે રાજ્યના દર પાંચમા મતદાર સમાન છે.'
રાહુલ ગાંધીએ આંકડા આપતા પ્રશ્ન કર્યા
લોકસભા 2024: 9.29 કરોડ મતદારો
વિધાનસભા 2024: 9.7 કરોડ મતદારો
SIR 2026: 7.78 કરોડ મતદારો
તેમણે સવાલ ઉઠાવ્યો કે, આમાંથી કઈ યાદી સાચી હતી? તેમણે ઉમેર્યું કે, વોટ ચોરીથી બનેલી સરકાર માટે જનતા મહત્વની નથી હોતી, તેથી જ ભાજપ જનતાનો અવાજ સાંભળતી નથી.
મહારાષ્ટ્રમાંથી 2.06 કરોડથી વધુ નામો હટાવાયા
મહારાષ્ટ્રમાં SIR પ્રક્રિયા હેઠળ બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ વૉટર લિસ્ટમાં 2,06,88,487 મતદારોના નામો શામેલ કરવામાં આવ્યા નથી. આ સંખ્યા રાજ્યના અગાઉના નોંધાયેલા મતદારોના અંદાજે 21.14 ટકા જેટલી છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્તમાન ડ્રાફ્ટ લિસ્ટમાં 7.71 કરોડથી વધુ મતદારો સામેલ છે, જેમાં 3.95 કરોડ પુરુષો, 3.75 કરોડ મહિલાઓ અને 3,087 થર્ડ જેન્ડર મતદારો છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કારણ
મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ના જણાવ્યા અનુસાર, 2.06 કરોડથી વધુ મતદારોના નામો એટલા માટે બાદ કરવામાં આવ્યા છે, કારણ કે તેમના ફોર્મ જમા થઈ શક્યા ન હતા, તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો, તેમનું અવસાન થયું હતું અથવા તો તેઓએ પોતાનું રહેઠાણ બદલી નાખ્યું હતું. SIR પ્રક્રિયા પહેલા મહારાષ્ટ્રમાં 9.78 કરોડ નોંધાયેલા મતદારો હતા, જેમાંથી 78.86 ટકા મતદારોને આ ડ્રાફ્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

