VIDEO/ બિહાર: પટનાના ગાંધી મેદાનમાં સમ્રાટ ચૌધરી મંત્રીમંડળનું વિસ્તરણ, 36 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા
બિહારના પટનામાં આજે ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનો ભવ્ય વિસ્તરણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપશે. બિહારના રાજકારણમાં આ એક મહત્વપૂર્ણ વળાંક છે કારણ કે નીતીશ કુમારના રાજીનામા બાદ ભાજપના નેતૃત્વવાળી સરકારનું આ પ્રથમ મોટું મંત્રીમંડળ વિસ્તરણ છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન પણ ઉપસ્થિત રહેશે, જે અંતર્ગત અંદાજે 36 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે.
ભાજપ અને જેડીયુ વચ્ચે થયેલી સમજૂતી મુજબ બંને પક્ષોને સમાન પ્રતિનિધિત્વ આપવા ઉપરાંત સાથી પક્ષો જેવા કે LJP રામ વિલાસ અને HAM ને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પટનામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગાંધી મેદાન તરફ જતા અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની તાજેતરની જીત બાદ વડાપ્રધાનની આ બિહાર મુલાકાત એનડીએ ગઠબંધનની એકતા અને શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે.

