અમેરિકામાંથી વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો આદેશ, દુર્વ્યવહારનો મુદ્દે વિદેશ મંત્રાલયે કહી આ વાત

અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવવિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે.
વિદેશ સચિવે ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતાં એજન્ટ્સ, અને નેટવર્ક્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પર જોર કર્યું છે. તેમણે ગેરકાયદે ઈમિગ્રેશનને વેગ આપતી સમગ્ર ઈકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં અગાઉ 2012માં અમેરિકામાંથી ભારતીયોના ડિપોર્ટેશન પર વિરોધ થયો હોવાના સવાલ પર મિસ્રીએ જણાવ્યું કે, અગાઉ ક્યારેય અમેરિકામાંથી ડિપોર્ટેશન બાદ દેખાવો કે વિરોધ નોંધાયા હોવાના અહેવાલો નથી.

