VIDEO: દિલ્હીના રોહિણીમાં બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ
દિલ્હીના રોહિણી સેક્ટર ૧૬ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં એક ત્રણ માળની બાંધકામ હેઠળની ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને એનડીઆરએફ (NDRF) ના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. હાઇડ્રોલિક કટર અને આધુનિક સાધનો વડે ભારે સ્લેબ હટાવીને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા ઇમારતના પાયા નબળા હોવા અથવા વરસાદના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

