'કેજરીવાલને મારી નાંખીશું, પંજાબને ખાલિસ્તાન બનાવીશું', સ્કૂલોથી લઈને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ચંદીગઢમાં પંજાબ ભાજપ મુખ્યાલયની બહાર વિસ્ફોટ થયાના પાંચ દિવસ બાદ - સોમવારે - ચંદીગઢ અને જલંધરમાં શાળાઓ - સરકારી ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીમાં ગાંધી ભવનમાં રાત્રે 9:11 વાગ્યે ગ્રેનેડ હુમલો થવાની ચેતવણી આપવામાં આવી છે. આ ધમકીઓ ઇમેઇલ દ્વારા આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેઈલ મળ્યા બાદ વહીવટીતંત્ર અને પોલીસે તમામ લક્ષિત સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ ધમકીઓ સાથે ખાલિસ્તાન ચળવળ સંબંધિત મેસેજ પણ લખ્યા છે.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી હાલમાં શાળાઓમાં સઘન તપાસ ચાલી રહી છે. સાથે જ કોર્ટ સંકૂલ પણ ખાલી કરાવીને સઘન તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇમેઇલનો સ્ત્રોત અંગે સાયબર સેલ તપાસ કરી રહી છે. ફિરોજપુર કોર્ટ સંકુલમાં કામગીરી બપોરે 2:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
પ્રારંભિક તપાસમાં કોઈપણ સ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી; જોકે સાવચેતીના પગલા તરીકે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને સતર્કતા વધારી દેવામાં આવી છે. ચંદીગઢના સેક્ટર-34 પોલીસ સ્ટેશનના SHO સતિન્દરએ જણાવ્યું હતું કે, "કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. અમે સુરક્ષા તપાસ પૂર્ણ કરી છે."
વિસ્ફોટની શક્યતા છે, તમારા બાળકોને બચાવો
સોમવારે સવારે 8:00 વાગ્યાની આસપાસ જલંધરમાં DPS સ્કૂલ, મેયર વર્લ્ડ સ્કૂલ અને MGN સ્કૂલને નિશાન બનાવીને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલમાં લખ્યું હતું: "તમારા બાળકોને બચાવો. પંજાબ હવે ખાલિસ્તાન બની જશે. બોમ્બ અને ગ્રેનેડથી હુમલાઓ થશે, શાળાઓમાં બપોરે 1:11 વાગ્યે અને મેયર ઓફિસ પર બપોરે 2:11 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થવાની તૈયારી છે.
તે જ પ્રમાણે ચંદીગઢના સેક્ટર 41, 32, 47 અને 45માં આવેલી શાળાઓને પણ આ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. મેસેજમાં કહેવાયું હતું કે, "ચંદીગઢ ખાલિસ્તાન બનશે. 'દેહ સિવા બર મોહે ' ગાવાનું શરૂ કરો અને 'જન ગણ મન' ગાવાનું બંધ કરો. શાળાઓમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થશે. મેયર ઓફિસમાં બપોરે 2:11 વાગ્યે વિસ્ફોટ થવાનો છે, ત્યારબાદ સચિવાલયમાં બપોરે 3:11 વાગ્યે બીજો વિસ્ફોટ થવાનો છે. ઇમેઇલમાં મોકલનારે 'ખાલિસ્તાન નેશનલ આર્મી' નું એડ્રેસ લખ્યું છે.
પંજાબ-હરિયાણાના મુખ્યમંત્રીઓ, ડીજીપી અને કેજરીવાલને ઉડાવી દેવાની ધમકીઓ
ઇમેલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ડીજીપી ગૌરવ યાદવ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને ઉડાવી દેવાની ધમકીઓ આપી છે. ફિરોઝપુરમાં કોર્ટ કોમ્પ્લેક્સ અને અમૃતસરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવાની પણ ધમકીઓ છે. ઇમેઇલમાં કહેવામાં આવ્યું છે કે, સીએમ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલને પણ બોમ્બ અથવા ગ્રેનેડ હુમલામાં નિશાન બનાવવામાં આવશે. અમૃતસરમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને ૧૪ એપ્રિલે બોમ્બ વિસ્ફોટ દ્વારા તોડી પાડવાની પણ ધમકી આપવામાં આવી છે.
ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાન ચળવળ બાળકો વિરુદ્ધ નથી, પરંતુ તેનો હેતુ 'હિન્દુસ્તાન' (ભારત) અને મોદી સરકારને તબાહ કરવાનો છે. પછી ભલે તે મત દ્વારા હોય કે બોમ્બ દ્વારા. ઇમેઈલમાં ચંદીગઢના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે, આ પ્રદેશમાં બોમ્બ વિસ્ફોટ અને ગ્રેનેડ હુમલા ચાલુ રહેશે, યુનિવર્સિટીના ગાંધી ભવન પર આજે રાત્રે 9.11 વાગ્યે ગ્રેનેડ હુમલો થશે.

