‘તમારા પાપ આખી દુનિયા જાણે છે’, બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આક્ષેપો પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

India's Reaction to Balochistan Violence And Pakistan Army Allegations : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં હાલ ભારે હિંસાઓ અને સૈન્ય ઘર્ષણ ચાલી રહ્યા છે. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ‘ઑપરેશન હેરોફ’ (Operation Herof) શરૂ કર્યા બાદ પ્રદેશના અનેક શહેરોમાં ભારે હિંસા અને સેના સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ ઘટનાઓમાં બીએલએએ 84 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો, જ્યારે પાકિસ્તાને 133 બળવાખોરોના મોત ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનની સેના બલૂચિસ્તાનની સ્થિતિ કાબુ મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તેમ હિંસા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યારે ભારતે જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
પાકિસ્તાનનો આક્ષેપ પાયાવિહોણો : ભારત
ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના દાવાઓને તદ્દન પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, પોતાની આંતરિક નિષ્ફળતાઓ અને સમસ્યાઓ પરથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હંમેશા ભારત પર દોષારોપણ કરવાની જૂની અને સદાબહાર રણનીતિ અપનાવે છે.
પાકિસ્તાનનું પાપ આખી દુનિયા જાણે છે : જયસ્વાલ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનની કરતૂત અને આદતોનો ઈતિહાસ ખોલી સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોઈ પણ હિંસક ઘટના બાદ ભારત પર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાના ક્ષેત્રના લોકોની લાંબા સમયની પડતર માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન, દમન અને ક્રૂરતાનો ઈતિહાસ આખી દુનિયા જાણે છે.’
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં આતંકવાદી તત્વોને ભારત સમર્થન આપી રહ્યું હોવાનો રાગ આલાપ્યો હતો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે.
BLAના ઓપરેશનથી હાહાકાર : 166ના મોત
બીજી તરફ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રદેશમાં પ્રતિબંધિત સંગઠન ‘બલૂચિસ્તાન લિબરેશન આર્મી’ (BLA) દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન હેરોફ’ને કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા 48 કલાકમાં થયેલી ભીષણ હિંસા અને સેના સાથેના ઘર્ષણમાં અત્યાર સુધીમાં 133 બળવાખોરો ઠાર થયા છે, જ્યારે નાગરિકો અને સુરક્ષાકર્મીઓ સહિત કુલ 33 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે.
14 શહેરોમાં 48 સ્થળો પર હુમલા
મીડિયા અહેવાલો મુજબ BLA દ્વારા ક્વેટા, ગ્વાદર, મકરાન અને નુશ્કી જેવા મુખ્ય શહેરો સહિત 14 શહેરો 48 સ્થળો પર હુમલા અને બોમ્બ ધડાકા કરવામાં આવ્યા છે. બળવાખોરોએ પોલીસ ચોકીઓ અને અર્ધસૈનિક દળોના કેમ્પને નિશાન બનાવ્યા છે, જ્યારે મસ્તુંગ જિલ્લામાં જેલ તોડીને 30થી વધુ કેદીઓને મુક્ત કરાવવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.
84 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો BLAનો દાવો
આ હિંસા વચ્ચે BLA ના પ્રવક્તાએ 84 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો અને અનેક સરકારી કચેરીઓ પર કબજો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. જોકે પાકિસ્તાની સેનાએ આ દાવાઓને નકારી કાઢ્યા છે અને વળતી કાર્યવાહી તેજ કરી છે. હિંસાને કારણે હાલમાં રાજ્યમાં રેલવે અને માર્ગ વ્યવહાર ખોરવાયો છે અને હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

