VIDEO: "આપ સૌના સાથથી આંદોલન સફળ થયું", હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં જ રાજઘાટ પહોંચી સોનમ વાંગચુકે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી
પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે દિલ્હીના જંતર-મંતર પર થયેલા દેખાવોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેઓ ઘણા દિવસ સુધી ભૂખ હડતાલ પર હતા, જોકે આ હડતાલ દરમિયાન તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે વાંગચુકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળતાં જ તેઓ રાજઘાટ પહોંચ્યા હતા અને અહીં તેમણે બાપૂ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી કરી છે.
વાંગચુકે રાજઘાટમાં બાપૂને શ્રદ્ધાંજલિ અર્પી
સોનમ વાંગચુકે હોસ્પિટલમાંથી નીકળતા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને ઘરે જતા પહેલા રાજઘાટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની પત્ની ડો. ગીતાંજલી જે. અંગમોએ પણ સોનમની સાથે બાપૂને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વાંગચુકે કહ્યું કે, ‘ગાંધીનો રસ્તો આજે પણ પ્રાસંગિક છે. અહિંસા, શાંતિથી સફળતા મળે છે.’
સૌ કોઈએ આંદોલન ચલાવ્યું અને સફળ થયા : વાંગચુક
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ વાંગચુકે વીડિયો શેર કરીને કહ્યું કે, ‘તમામને નમસ્કાર, આખરે તે દિવસ આવી ગયો, જ્યારે હું આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યો છું. ઘણું સારું લાગી રહ્યું છે. લાંબી હડતાલ બાદ મેં ભોજન લેવાનું શરૂ કર્યું છે, જેનાથી મારા શરીરને રાહત મળી રહી છે. આજે હું હોસ્પિટલમાંથી નીકળતા પહેલા અને ઘરે જતા પહેલા રાજઘાટ બાપૂ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઈચ્છું છું. આપ સૌને યાદ હશે કે, આવી રીતે જ જ્યારે હું સ્વિત્ઝરલેન્ડથી આવ્યો હતો, ભૂખ હડતાળ શરૂ કર્યા પહેલા રાજઘાટ જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને જંતર-મંતર પહોંચ્યો હતો. હું આપ સૌને દિલથી આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ અમારા અવાજમાં અવાજ મેળવીને આંદોલન ચલાવ્યું અને સફળ થયા. તમામને સલામ, જય હિંદ…’
વાંગચુક 28 જૂને વિદ્યાર્થી આંદોલનમાં સામેલ થયા હતા
સોનમ વાંગચુક 28 જૂનના રોજ દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આંદોલનમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેઓ 26 દિવસ સુધી ભૂખ હડતાલ પર રહ્યા હતા. તેમને 18 જુલાઈએ સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. વાંગચુકે સફદરજંગ હોસ્પિટલમાં કહ્યું હતું કે, અહીં મને કસ્ટડીમાં રાખ્યો હતો, તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
દિલ્હીમાં 36 દિવસ ચાલ્યા દેખાવો
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકેની આગેવાનીમાં 36 દિવસ સુધી દેખાવો થયા હતા. સીજેપી પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા હતા. આ દેખાવો દરમિયાન દિલ્હીમાં રસ્તાઓ પર વિદ્યાર્થીઓએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો, તો દિલ્હી પોલીસે પણ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરતા મામલો વધુ બિચક્યો હતો. આખરે પ્રધાને રાજીનામું આપી દેતા આંદોલન સમાપ્ત થઈ ગયું છે. હવે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

