VIDEO: 'માગ સ્વીકારાશે તો અનશનનો અંત', સોનમ વાંગચુકે સરકાર સમક્ષ મૂકી આ શરતો
વિદ્યાર્થી આંદોલન અને તેના અનુસંધાનમાં સર્જાયેલા વિવાદ વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ કરી છે. સોનમ વાંગચુકે શિક્ષણમંત્રીની જવાબદારીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માંગ કરી છે. સાથે જ આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે.
વિદ્યાર્થીઓ સામે ના થવી જોઈ કાર્યવાહીઃ વાંગચુક
પત્રમાં વાંગચુકે દિલ્હીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી ન કરવા, અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાની માંગ પણ કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારના કાનૂની અથવા વહીવટી પગલાં ન ભરવા જોઈએ. સોનમ વાંગચુકે પોતાના પત્રમાં સરકારના વિશ્વાસનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે સરકાર તરફથી તેમની સાથે ચર્ચા દરમિયાન માંગણીઓ પર વિચાર કરવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. વાંગચુકે કહ્યું કે, જો સરકાર આ વિશ્વાસને લેખિત અથવા સ્પષ્ટ રીતે વ્યક્ત કરશે, અને માંગણીઓ અંગે સકારાત્મક પગલાં લેશે, તો તેઓ પોતાનો ઉપવાસ પૂર્ણ કરશે. આ સમગ્ર મામલે હવે સરકાર શું નિર્ણય લે છે, તેના પર વિદ્યાર્થીઓ અને દેશભરના લોકોની નજર ટકેલી છે.

