'સરકાર પાસે દીવા પ્રજ્વલિત કરવા માટે નાણાં છે, પરંતુ હોસ્ટેલ બનાવવા કેમ નથી?' રાહુલ ગાંધીનો PM મોદીને પ્રશ્ન

વડાપ્રધાનને સવાલ અને આવાસ ભથ્થાનો મુદ્દો
આ ચર્ચા બાદ રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલોની ઝડી વરસાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રહેવાની યોગ્ય સગવડ અને સુરક્ષિત જગ્યાના અભાવે તેમજ મોંઘવારીના સમયમાં પૂરતું આવાસ ભથ્થુ ન મળવાને કારણે અનેક દીકરીઓ પોતાનો અભ્યાસ અધૂરો છોડી દેવા મજબૂર બને છે. રાહુલે સીધો સવાલ પૂછ્યો હતો કે શું વડાપ્રધાન પાસે આ દીકરીના પ્રશ્નનો કોઈ જવાબ છે? આ કાર્યક્રમમાં શિક્ષણ, રોજગાર અને યુવાનોના અન્ય પ્રશ્નો પર પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપનો પલટવાર: માતાના અપમાન પર રાજકારણનો આરોપ
બીજી તરફ, આ કાર્યક્રમમાં બનેલી એક ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપના નેતા મનજિન્દર સિંહ સરસાએ આરોપ લગાવ્યો છે કે કાર્યક્રમ દરમિયાન એક સ્ટેન્ડઅપ કમેડિયને વડાપ્રધાનની મિમિક્રી કરતી વખતે તેમની સ્વર્ગીય માતા વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી હતી, અને રાહુલ ગાંધી આ વાત પર હસી રહ્યા હતા. ભાજપના નેતાઓએ આ આચરણને અત્યંત શરમજનક અને સંસ્કારોની વિરુદ્ધ ગણાવતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન સર્વોપરી છે અને રાજકીય વિરોધ વચ્ચે આ પ્રકારનો ઉપહાસ સહન કરી શકાય નહીં.

