VIDEO : મહારાષ્ટ્રના પરભણીમાં મારુતિ મંદિરનો સભા મંડપ ધરાશાયી, 5ના મોત, 25થી વધુ શ્રદ્ધાળુઓ દબાયાની આશંકા

મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યશવાડી મારુતિ મંદિર પરિસરમાં શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંદિરની સામે બનાવવામાં આવેલો વિશાળ સભામંડપ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો. મંદિરમાં સભામંડપની છત અચાનક કડડભૂસ થઈને તૂટી પડી હતી. જેમાં 5થી વધુ લોકોના મોત થયા છે તો 25થી વધારે લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા, છત પડતાં જ નાસભાગ મચી ગઈ. જેના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
બચાવ કામગીરી અને જાનમાલનું નુકસાન
પ્રાથમિક માહિતી અનુસાર, સભા મંડપ તૂટી પડવાના કારણે કાટમાળ નીચે અંદાજે 30થી 40 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, સત્તાવાર રીતે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી મૃતકો કે ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસન, પોલીસ કાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની રાહત-બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મલબામાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

