"મારા બેડરૂમ વિશે સપનાં જોવાનું બંધ કરો બાબાજી!" બાબા રામદેવ પર કંગના રણૌતનો પલટવાર

ભાજપના સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌતે યોગ ગુરુ બાબા રામદેવ પર આકરા પ્રહાર કર્યા છે. કંગનાએ તાજેતરમાં દેશના Gen Z ને 'ગટર જનરેશન' કહ્યા હતા, જેના પર બાબા રામદેવે સખત આપત્તિ દર્શાવી હતી, અને એક્ટ્રેસને આડે હાથ લેતાં કંગનાના જીવન પર સવાલો ઊભા કર્યા હતા. બાબા રામદેવની આ કમેન્ટ પર હવે કંગનાએ પલટવાર કરીને જવાબ આપ્યો છે. કંગનાએ યોગ ગુરુને સલાહ આપતાં સ્પષ્ટ કહ્યું કે, તે તેમની જુવાની અથવા અંગત જીંદગી વિશે સપના જોવાનું છોડી દે અને તેમને ચરિત્રના પાઠ ના ભણાવે.
કંગના રણૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને બાબા રામદેવ પર પ્રહાર કર્યા છે. તેણે લખ્યું કે, 'બાબાજી, મારી જુવાની કે બેડરૂમ વિશે દિવસે સપનાં ન જુઓ. કોઈ માત્ર અફવાઓ અને ગોસિપના આધારે અંદાજ જ લગાવી શકે છે.'
પતંજલિ સાથેના વિવાદો મુદ્દે ચાબખાં
કંગનાએ પતંજલિ સાથે જોડાયેલા વિવાદો અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં આગળ કહ્યું કે, ઓછામાં ઓછું મને ક્યારેય સુપ્રીમ કોર્ટમાંથી જૂઠા કે ફ્રોડ મેડિકલ દાવાઓ માટે ફટકાર નથી પડી. આ વાત પાક્કા તથ્યો પર આધારિત છે, કોઈ ગોસિપ કે અંદાજ પર નહીં. એટલા માટે મને ચરિત્ર વિશે ના બતાવો. મારું ચરિત્ર તમારા કરતાં ક્યાંય વધારે સારું છે, અને અહીં કોઈ છેતરપિંડી નથી.
બાબા રામદેવે સાધ્યું હતું નિશાન
આખા વિવાદની શરૂઆત બાબા રામદેવના એક ઇન્ટરવ્યૂથી થઈ હતી. જ્યારે તેમને કંગનાના Gen-Zને 'ગટર જનરેશન' કહેવાવાળા નિવેદન પર સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે એક્ટ્રેસના ભૂતકાળ પર ટિપ્પણી કરી દીધી હતી. રામદેવે કહ્યું હતું કે, તેમનું બાળપણ કેવું રહ્યું છે? તેમની જુવાની કેવી રહી છે? તેમના પહેલાના કારનામા કેવા રહ્યા છે? હું આવા લોકો વિશે વાત કરવા નથી માંગતો.
કંગનાના નિવેદનની થઈ હતી ટીકા
બાબા રામદેવે કંગનાના નિવેદનની સખત નિંદા કરતા કહ્યું હતું કે, દેશના નવજુવાનો માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો બિલકુલ ખોટો છે. તેમણે કહ્યું હતું કે, દેશના જુવાનોને ગટર કહેવું, બગડેલા મગજની નિશાની છે. આ પૂરી રીતે ખોટી વાત છે, અને કંગનાની પાર્ટી ભાજપના સિનિયર લોકોએ આ નિવેદન પર સંજ્ઞાન લેવું જોઈએ. હાલમાં બંને ચર્ચિત હસ્તીઓ વચ્ચેની આ કડવાશ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે.

