Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Special chip to be installed in vehicles/ Gadkari to bring state-of-the-art V2V technology

વાહનમાં લાગશે ખાસ ચિપ/ અકસ્માત રોકવા નીતિન ગડકરી લાવશે અત્યાધુનિક V2V ટેકનોલોજી

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
વાહનમાં લાગશે ખાસ ચિપ/ અકસ્માત રોકવા નીતિન ગડકરી લાવશે અત્યાધુનિક V2V ટેકનોલોજી
સોર્સ : gstv

Vehicle to Vehicle Technology: દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક અત્યાધુનિક ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જાહેરાત કરી કે સરકાર વાહન-થી-વાહન(V2V) સંચાર માટે વાયરલેસ ટેકનોલોજી લાવવા પર કામ કરી રહી છે, જે અકસ્માતોને રોકવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

App Store

શું છે આ વાયરલેસ ટેકનોલોજી અને કેવી રીતે કરશે કામ?

આ V2V(વ્હીકલ-ટુ-વ્હીકલ) સંચાર ટેકનોલોજીની મદદથી, રસ્તા પર ચાલતા વાહનો એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે. આનાથી ડ્રાઇવરને આસપાસના અન્ય વાહનોની ગતિ, સ્થિતિ, બ્રેક લગાવવાની માહિતી અને ખાસ કરીને અચાનક નજર ન આવતી જગ્યા(બ્લાઇન્ડ સ્પોટ) પર રહેલા વાહનો વિશે રીઅલ-ટાઇમ એલર્ટ મળશે. આ એલર્ટ મળતા જ ડ્રાઇવર સમયસર જરૂરી પગલાં લઈ શકશે, જેનાથી અકસ્માતોની આશંકા નોંધપાત્ર રીતે ઘટશે.

આ ટેકનોલોજી સિમ કાર્ડ જેવી ચિપ દ્વારા કામ કરશે, જેને વાહનોમાં લગાવવામાં આવશે. જ્યારે કોઈ વાહનની ખૂબ નજીક અન્ય કોઈ વાહન આવશે, ત્યારે તરત જ એલર્ટ મળશે. આ ટેકનોલોજી ગાઢ ધુમ્મસ દરમિયાન એકબીજા સાથે અથડાતા વાહનો અને ઉભેલા વાહનો સાથે પાછળથી થતી ટક્કરને રોકવામાં અત્યંત અસરકારક સાબિત થશે.

સરકારની તૈયારીઓ અને અમલીકરણ

નીતિન ગડકરીએ જણાવ્યું કે આ ઉદ્દેશ્ય માટે દૂરસંચાર વિભાગ સાથે એક સંયુક્ત કાર્યદળની રચના કરવામાં આવી છે. દૂરસંચાર વિભાગે V2V સંચાર માટે 30 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ(5.875-5.905 ગીગાહર્ટ્ઝ)ના ઉપયોગને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે. મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું કે આ ટેકનોલોજી હાલમાં અમુક જ દેશોમાં ઉપયોગમાં લેવાઈ રહી છે અને તેના પર લગભગ ₹5,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. શરૂઆતમાં, આ ટેકનોલોજીથી સજ્જ ઉપકરણો નવા વાહનોમાં લગાવવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે તમામ વાહનોમાં તેને સામેલ કરવામાં આવશે.

અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના

ગડકરીએ જાહેરાત કરી કે પીએમ મોદી ટૂંક સમયમાં જ સમગ્ર ભારતમાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, પીડિતોને અકસ્માતની તારીખથી મહત્તમ સાત દિવસના સમયગાળા માટે, પ્રતિ પીડિત પ્રતિ અકસ્માત ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મેળવવાનો અધિકાર હશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમયસર તબીબી સારવારના અભાવે થતા મૃત્યુની સંખ્યા ઘટાડવાનો છે.

સ્લીપર બસોમાં આગની ઘટનાઓ રોકવા કડક નિયમો

સ્લીપર કોચ બસોમાં આગ લાગવાની વધતી જતી ઘટનાઓને રોકવા માટે, સરકારે નિર્ણય કર્યો છે કે હવેથી સ્લીપર કોચ બસોનું નિર્માણ માત્ર ઓટોમોબાઈલ કંપનીઓ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કેન્દ્રોમાં જ કરવામાં આવશે. આ ઉપરાંત, હાલની સ્લીપર કોચ બસોમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ, હથોડી સાથે ઈમરજન્સી એક્ઝિટ, ઈમરજન્સી લાઈટિંગ અને ડ્રાઈવરને ઊંઘ આવવાના સંકેત આપતા ઉપકરણો લગાવવા ફરજિયાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનામાં સ્લીપર કોચમાં આગ લાગવાના છ મોટા અકસ્માતોમાં 145 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ ઉપરાંત, સરકાર આગામી બજેટ સત્રમાં મોટર વાહન અધિનિયમમાં 61 જેટલા સુધારા લાવવાની પણ તૈયારી કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય માર્ગ સુરક્ષામાં સુધારો, નાગરિક સેવાઓને બહેતર બનાવવા અને કાયદાઓને વૈશ્વિક ધોરણોને અનુરૂપ બનાવવાનો છે.