'હમાસ ચીફની હત્યાના થોડા કલાક અગાઉ જ હું તેમનો મળ્યો હતો', નીતિન ગડકરીનો ઘટસ્ફોટ

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં એક પુસ્તક વિમોચન પ્રસંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયેહની હત્યાના ગણતરીના કલાકો પહેલા જ તેમની મુલાકાત થઈ હતી. આ ઘટના ઈરાનની રાજધાની તહેરાનમાં ગયા વર્ષે બની હતી. ગડકરી ઈરાનના નવા પ્રમુખ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તેહરાન ગયા હતા. ત્યાં એક હોટલમાં અનૌપચારિક મુલાકાત દરમિયાન હાનિયેહ પણ હાજર હતા.
‘ભારતીય રાજદૂતે મને તાત્કાલિક હોટલ છોડવા કહ્યું’
ગડકરીએ કહ્યું કે, શપથ ગ્રહણ બાદ ગડકરી પોતાની હોટલ પર પરત ફર્યા હતા, પરંતુ રાત્રે લગભગ 4 વાગ્યે ભારતીય રાજદૂતે તેમને તાત્કાલિક હોટલ છોડવા જણાવ્યું હતું. ત્યારે તેમને જાણવા મળ્યું કે ઈસ્માઈલ હાનિયેહ (Ismail Haniyeh)ની અત્યંત સુરક્ષિત મિલિટરી કોમ્પ્લેક્સમાં હત્યા કરવામાં આવી છે. આ સમાચાર સાંભળીને ગડકરી સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે થોડા સમય પહેલા જ તેમણે હાનિયેહને ઈરાનના પ્રમુખ સાથે જોયા હતા.
હાનિયેહ પર સરળતાથી હુમલો કરવો અશક્ય : ગડકરી
હાનિયેહની હત્યા કેવી રીતે થઈ તે અંગે હજુ રહસ્ય છે. ગડકરીએ જણાવ્યું કે, કેટલાક લોકો મોબાઈલ ટ્રેકિંગ દ્વારા લોકેશન ટ્રેસ થયું હોવાનું માને છે. આ ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે ઈઝરાયેલનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે, જે દેશ ટેકનોલોજી અને સૈન્ય શક્તિમાં મજબૂત હોય છે, તેના પર કોઈ સરળતાથી હુમલો કરી શકતું નથી. ગડકરીના આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેહરાનમાં IRGC ની કડક સુરક્ષા વચ્ચે 31 જુલાઈની રાત્રે થયેલા આ હુમલામાં હાનિયેહની સાથે તેના અંગરક્ષકનું પણ મોત થયું હતું. આ કિસ્સો વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ માટે હજુ પણ તપાસનો વિષય છે.

