VIDEO: કેરલમમાં આકાશી આફત, 8 લોકોનાં મોત, હજારો લોકોનું સ્થળાંતર
કેરળમાં શનિવારે પડેલા મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે મોટી ખુવારી સર્જાઈ છે. વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો હજુ પણ ગુમ છે. આ પરિસ્થિતિને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં 27 ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, જ્યારે 196 ઘરોને અંશતઃ નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 209 રાહત શિબિરો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 5,792 લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. કન્નૂર જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે અસર પડી છે, જ્યાંથી 500થી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડાયા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો, ઘર ગુમાવનારા અને રોજીરોટી ગુમાવનારા તમામ લોકોને ઝડપથી સહાય પહોંચાડવાની ખાતરી આપી છે.

