બિહાર SIR પર વિપક્ષના વિરોધમાં સોનિયા ગાંધી પણ થયા સામેલ, લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત

ચોમાસા સત્ર દરમિયાન બિહાર SIR પર વિપક્ષ દ્વારા વિરોધ ચાલુ છે. ચોથા દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વિપક્ષી સભ્યોએ સંસદ ભવનના પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ તેમાં ભાગ લીધો હતો.
લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી
લોકસભાની કાર્યવાહી શરૂ થયાના સાત મિનિટમાં જ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ બબાલ મચાવી રહેલા વિપક્ષી સભ્યોને અપીલ કરી કે તેઓ પોતાની જગ્યાએ બેસીને પ્રશ્નકાળ ચાલુ રાખવા દે. પરંતુ વિપક્ષી સભ્યોએ કંઈ જ ન સાંભળતા સ્પીકરે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી.
સંસદની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો
સંસદના બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ થઈ ગયો છે. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં પ્રશ્નકાળની કાર્યવાહી ચાલી રહી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બબાલ મચાવતા વિપક્ષી સભ્યોને તેમની જગ્યા પર જવા અપીલ કરતા કહ્યું કે, તમે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના સભ્ય છો, જેણે આ ગૃહમાં ઘણું યોગદાન આપ્યું છે. જો તમે જ આવું વર્તન કરો છો, તો શું સંદેશ આપશો. સ્પીકર ઓમ બિરલાએ કેસી વેણુગોપાલનું નામ લેતા કહ્યું કે આ બધું તમે શીખવો છો?. સૂત્રોચ્ચાર કરવા માટે. જનતાએ તમને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવા માટે અહીં મોકલ્યા નથી. પ્રશ્નકાળ પછી નિયમો અનુસાર તમને દરેક વિષય પર બોલવાની મંજૂરી આપવામાં આવશે.
ઉજ્જવલ નિકમે રાજ્યસભા સભ્ય તરીકે શપથ લીધા
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ ઉપસભાપતિ હરિવંશે ગૃહના નામાંકિત સભ્ય ઉજ્જવલ નિકમને સભ્યપદના શપથ લેવડાવ્યા. ઉજ્જવલ નિકમે મરાઠીમાં શપથ લીધા.
ગૃહે તમિલનાડુના છ રાજ્યસભા સભ્યોને આપી ફેરવેલ
એમ મોહમ્મદ અલી, એમ સંમુગમ, વાઈકો, પી વિલ્સન, અંબુમણી રામદાસ, એન ચંદ્રશેખરન સહિત તમિલનાડુના છ સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. તેમાંથી પી વિલ્સન ફરીથી ચૂંટાયા છે. ઉપસભાપતિ હરિવંશે આજે ગૃહમાં આ બધા નિવૃત્ત સભ્યોને વિદાય સાથે શુભેચ્છા પાઠવી.

