VIDEO: રામ મંદિર દાન ચોરી કેસમાં હવે SBI પણ શંકાના દાયરામાં: ટેન્ડર વિના જ પ્રાઈવેટ એજન્સીને રોકડ ગણવાનું કામ સોંપાયાનો આક્ષેપ
અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાના નાણાંમાં થયેલી કથિત ગડબડની તપાસ વચ્ચે હવે ભારતીય સ્ટેટ બેંક (SBI)ની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. તપાસમાં સામે આવેલા તથ્યોના આધારે દાનની રકમ ગણવાની પ્રક્રિયા અને તેમાં અપનાવવામાં આવેલી પદ્ધતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મંદિરમાં દરરોજ આવતી કરોડો રૂપિયાની દાનની રકમ ગણવાની જવાબદારી કોઈ પણ કાનૂની ટેન્ડર પ્રક્રિયા વિના જ 'સૈનિક સિક્યોરિટી સર્વિસીસ' ને સોંપવામાં આવી હતી. આ એજન્સી મુખ્યત્વે મેનપાવર સપ્લાય, હાઉસકીપિંગ અને સુરક્ષા સેવાઓ પૂરી પાડે છે, પરંતુ તેને રોકડ ગણવા જેવી અત્યંત સંવેદનશીલ કામગીરી સોંપાતા વિવાદ સર્જાયો છે.
SOPના પાલન પર સવાલો
આરોપ છે કે રોકડ વ્યવસ્થાપન સાથે જોડાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું ન હતું. નિયમો અનુસાર, દાનની રકમની ગણતરી માત્ર અધિકૃત બેંક અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓની હાજરીમાં જ થવી જોઈએ. આઉટસોર્સ કર્મચારીઓની ભૂમિકા માત્ર સહાયક કાર્યો પૂરતી સિમિત હોવી જોઈતી હતી, પરંતુ તેમને સીધા જ રોકડ ગણવાના અધિકાર આપવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે.
પારદર્શક પ્રક્રિયા ન અપનાવવાનો આરોપ
તપાસમાં એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, એજન્સીની પસંદગી માટે કોઈ પારદર્શક ટેન્ડર કે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા અપનાવવામાં આવી ન હતી. આ ઉપરાંત રોકડની ગણતરી દરમિયાન CCTV દેખરેખ, વીડિયોગ્રાફી, ડબલ વેરિફિકેશન, સીલબંધ પેકમાં રકમ સુરક્ષિત રાખવી અને દરેક તબક્કે બેંક અધિકારી, ટ્રસ્ટ પ્રતિનિધિ તેમજ સુરક્ષા કર્મચારીઓની સહીઓ જેવી જરૂરી પ્રક્રિયાઓના પાલન અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.
ઓડિટ અને જવાબદારી પર પણ ચર્ચા
નિયમો મુજબ, રોકડ ગણવાની મશીનોની નિયમિત તપાસ, સમગ્ર પ્રક્રિયાનું દૈનિક, સાપ્તાહિક અને ત્રિમાસિક ઓડિટ તેમજ કોઈ પણ ગડબડના કિસ્સામાં તાત્કાલિક રિપોર્ટિંગ અને જવાબદારી નક્કી કરવી અનિવાર્ય છે. આ સિવાય સંવેદનશીલ કેશ મેનેજમેન્ટ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે વિશેષ તાલીમની વ્યવસ્થા હોવી જોઈએ. હાલમાં આ કથિત ગડબડની તપાસ ચાલી રહી છે, અને તપાસ એજન્સીઓ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

