Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : sabarimala review petition central government files reply in supreme court against 2018 verdict

સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો SCમાં જવાબ: ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો SCમાં જવાબ: ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી
સોર્સ : gstv

Sabarimala Review Petition: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ થયેલી પુનર્વિચાર અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં લેખિત દલીલો રજૂ કરતા કેન્દ્ર સરકારે આ પુનર્વિચાર અરજીઓનું સમર્થન કર્યું છે. સરકારનું કહેવું છે કે આ વિવાદ માત્ર સ્ત્રી-પુરુષ સમાનતાનો નથી, પરંતુ તે લોકોની ધાર્મિક આસ્થા, સદીઓ જૂની પરંપરા અને ધાર્મિક સંસ્થાઓની સ્વાયત્તતા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ધાર્મિક પરંપરાઓને આધુનિકતા, તર્ક કે વિજ્ઞાનના માપદંડો પર પરખવી એ કોર્ટ દ્વારા ધર્મના મામલામાં બિનજરૂરી દખલગીરી અથવા ન્યાયિક અતિક્રમણ ગણાશે.

App Store

કોર્ટે ધર્મની પોતાની રીતે વ્યાખ્યા ન કરવી જોઈએ

કેન્દ્ર સરકારે ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ અંગે સ્પષ્ટ મંતવ્ય આપતા જણાવ્યું છે કે કોર્ટે ધર્મની પોતાની રીતે વ્યાખ્યા કરવી જોઈએ નહીં. જો કોર્ટ ધાર્મિક પરંપરાઓને આજના આધુનિક માપદંડો કે વિજ્ઞાનના આધારે પરખવાનું શરૂ કરશે, તો તે ધર્મ પર પોતાના અંગત દાર્શનિક વિચારો થોપવા જેવું ગણાશે, જે બંધારણીય રીતે યોગ્ય નથી. સરકારનું માનવું છે કે કોઈ ધાર્મિક પ્રથા તર્કસંગત છે કે નહીં તે નક્કી કરવું એ બંધારણીય સમીક્ષાનો વિષય હોઈ શકે નહીં. વધુમાં, એવી દલીલ પણ કરવામાં આવી છે કે ન્યાયાધીશો પાસે ધાર્મિક ગ્રંથોનું અર્થઘટન કરવા માટે કે ધર્મને લગતા ગૂઢ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જરૂરી તાલીમ કે સંસ્થાકીય સક્ષમતા હોતી નથી.

પરંપરાની અનિવાર્યતા નક્કી કરવાનો અધિકાર સંપ્રદાયનો: કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે કોર્ટ દ્વારા 'આવશ્યક ધાર્મિક પ્રથા' નક્કી કરવાના અધિકાર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, કોઈપણ પરંપરા ધર્મ માટે કેટલી અનિવાર્ય છે તે નક્કી કરવાનું કામ કોર્ટનું નહીં, પરંતુ તે ધાર્મિક સંપ્રદાયનું હોવું જોઈએ. સરકારના મતે, કોર્ટે ધાર્મિક બાબતોમાં માત્ર ત્યારે જ દખલ કરવી જોઈએ જ્યારે કોઈ પ્રથાથી જાહેર વ્યવસ્થા, લોકોના સ્વાસ્થ્ય, નૈતિકતા અથવા મૂળભૂત અધિકારોનું સીધું ઉલ્લંઘન થતું હોય. સબરીમાલા મંદિરના સંદર્ભમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભગવાન અયપ્પા ત્યાં 'નૈષ્ઠિક બ્રહ્મચારી' સ્વરૂપે બિરાજમાન છે, તેથી 10થી 50 વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ એ કોઈ ભેદભાવ નથી પરંતુ એક ધાર્મિક પરંપરા છે. અંતમાં, સરકારે ભારપૂર્વક કહ્યું છે કે દેવતાના ગુણો કે તેમના સ્વરૂપની કાયદાકીય રીતે સમીક્ષા કરવી યોગ્ય નથી.

ધાર્મિક આસ્થાના વિષયોમાં કોર્ટના હસ્તક્ષેપનો વિરોધ

2018ના ચુકાદાની ટીકા કરતા કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, તે સમયે પાંચ જજોની બેન્ચે ભગવાન અયપ્પાના બ્રહ્મચર્ય સ્વરૂપની જે રીતે તપાસ કરી હતી, તેનાથી કોર્ટ જાણે ધાર્મિક બાબતોમાં પોતે જ નિર્ણય લેનારી સંસ્થા બની ગઈ હોય તેવું જણાય છે. સરકારે 'બંધારણીય નૈતિકતા'ના વિચારને પણ અસ્પષ્ટ ગણાવ્યો છે અને કહ્યું છે કે બંધારણમાં તેનો કોઈ ચોક્કસ આધાર નથી. સરકારના મતે, આ વિચારનો ઉપયોગ કરીને કોર્ટ ધાર્મિક પરંપરાઓમાં જે ફેરફારો કરે છે, તે ન્યાયિક રીતે બંધારણમાં સુધારો કરવા સમાન ગણાય.

ચુકાદામાં અંગત વિચારોને બદલે બંધારણને પ્રાધાન્ય આપવા અપીલ

આ સિવાય, કેન્દ્ર સરકારે જોસેફ શાઈન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા (2018)ના ચુકાદા સામે પણ વિરોધ નોંધાવ્યો છે, જેમાં વ્યાભિચારને ગુનાની શ્રેણીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. સરકારે આ નિર્ણયને પણ કાયદાકીય રીતે ખોટો ગણાવી તેને રદ કરવાની માંગ કરી છે. અંતમાં સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, જજએ ચુકાદા આપતી વખતે પોતાના અંગત વિચારો કે લેખોને બદલે બંધારણ અને પ્રસ્થાપિત કાયદાકીય સિદ્ધાંતોને જ આધાર માનવા જોઈએ. આમ, હવે આ વિવાદ માત્ર મંદિર પ્રવેશ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે ધાર્મિક સ્વતંત્રતા અને કોર્ટની ન્યાયિક સમીક્ષાની મર્યાદાઓ વચ્ચેનો એક મોટો બંધારણીય પ્રશ્ન બની ગયો છે.