VIDEO: રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી ત્રણ માગ, પ્રેસ કોન્ફરન્સ યોજી શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને દેશભરમાં પેપર લીકના વિવાદને લઈને કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ મોટો મોર્ચો ખોલ્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદો કાળાંં કપડાંં પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરકાર અને શિક્ષણ મંત્રી સામે વિરોધ પ્રદર્શન કરીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.સંસદમાં ભારે હંગામો થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આવતીકાલ 23 જુલાઇએ 11 વાગ્યે ફરી સંસદમાં ચર્ચા અને વિરોધનો દોર ચાલુ થશે. જે બાદ સાંજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાખી ત્રણ માગ
પહેલી: શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે
બીજી: યુવાનો પર લાઠીચાર્જ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે
ત્રીજી: વડાપ્રધાન મોદી યુવાનોની માફી માગે
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડશે- પવન ખેડા
કોંગ્રેસ સાંસદ પવન ખેડાએ કહ્યું કે પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે, તે પછી જ ચર્ચા થશે. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અંગે ચર્ચા થશે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડશે.
વિદ્યાર્થીઓનું સાંભળવામાં આવી રહ્યું નથી- અખિલેશ યાદવ
અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું કે આ યુવાનોનો મુદ્દો છે. વિદ્યાર્થીઓનું સાંભળવામાં આવી રહ્યું નથી. વિદ્યાર્થીઓ સાથે ખોટું થયું છે. અમે મજબૂરીમાં પીએમ આવાસ સુધી ગયા હતા.
સરકારે બાળકો સાથે વાત કરવી જોઈએ- ઉદ્ધવ ઠાકરે
'આપણે રાજકારણમાં જેમના માટે લડી રહ્યા છીએ તે આ બાળકો છે. સરકારે બાળકો સાથે વાતચીત કરવી જોઈએ અને એવી જ રીતે વિપક્ષે પણ અંદરો અંદર વાતચીત કરવી જોઈએ. તમામ લોકોએ 'તારું-મારું' કરવાને બદલે એકસાથે આવીને કામ કરવું પડશે.'
યુવાનોના ભવિષ્ય માટે એકજૂથ થઈને સરકાર સામે વિરોધ
કોંગ્રેસના આ મોટા વિરોધ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવાનો અને કડક સંદેશ આપવાનો છે. પાર્ટીના તમામ સાંસદોએ એકજૂથ થઈને પોતાની વ્યૂહનીતિ મુજબ વિરોધ નોંધાવ્યો હતો. કાળાંં કપડાંં પહેરીને સંસદ પહોંચેલા પ્રિયંકા ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ હિંસાની વિરુદ્ધમાં છે અને તેમની વિચારધારા હિંસાને ક્યારેય સહન કરતી નથી.
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને લાઠીચાર્જ સામે ભારે રોષ
કોંગ્રેસ સાંસદ સૈયદ નસીર હુસૈને જણાવ્યું કે તમામ વિપક્ષી સાંસદો પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને નેતાઓ પર થયેલા પોલીસ બળપ્રયોગના વિરોધમાં કાળાંં કપડાંં પહેરીને આવ્યા છે. વિપક્ષની માંગ છે કે સરકાર પોતાનું હઠાગ્રહ છોડીને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરે. અન્ય એક કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ 20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ સામે ભારે રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે શું વિપક્ષ આવી બર્બરતા પર ચૂપ બેસી રહે?
માર્ચ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત
આ વિરોધ પ્રદર્શન પહેલાં કોંગ્રેસ નેતાઓએ રાજાજી માર્ગથી લોક કલ્યાણ માર્ગ સુધી માર્ચ કાઢી હતી. તેમણે પરીક્ષાના પેપર લીક, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. માર્ચ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિતના અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં તેમને છત્રસાલ સ્ટેડિયમથી મુક્ત કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કરતા તેને ડરપોક ગણાવી હતી. તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી તેમની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ અને વી. ડી. સતીશન સહિતના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.

