દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘આ પ્રદૂષણની આપણે ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ, જેની અસર આપણા સ્વાસ્થ્ય અને દેશની અર્થવ્યવસ્થા એમ બંને પર પડી રહી છે.’
બાળકો અને શ્રમિકો સૌથી વધુ પ્રભાવિત
રાહુલ ગાંધીએ બાળકો, વૃદ્ધો, શ્રમિકોની ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ‘ઝેરી હવાનો સૌથી વધુ ખરાબ અનુભવ બાળકો અને વૃદ્ધોને થઈ રહ્યો છે. પ્રદૂષણને કારણે લાદવામાં આવતા પ્રતિબંધો અને ખરાબ હવાને લીધે આ ગરીબ વર્ગની આજીવિકા પર સીધી અસર પડી રહી છે. કરોડો સામાન્ય ભારતીયો દરરોજ આ બોજ સહન કરવા મજબૂર બન્યા છે.’
અવાજ ઉઠાવવો એ પરિવર્તનનું પ્રથમ પગલું : રાહુલ ગાંધી
વિપક્ષી નેતાએ લોકોને અપીલ કરી હતી કે, ‘આ સંકટને માત્ર શિયાળો પૂરો થતા ભૂલી જવું જોઈએ નહીં. તમારો અવાજ બુલંદ છે, તેથી તમારો અવાજ બુલંદ કરવો મારી જવાબદારી છે.’ રાહુલ ગાંધીએ એક લિંક શેર કરીને લોકોને વિનંતી કરી છે કે પ્રદૂષણને કારણે તેમને કે તેમના પરિવારને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેના અનુભવો શેર કરે.
દિલ્હીમાં વરસાદ હવાની ગુણવત્તામાં સુધારો
બીજી તરફ, દિલ્હીમાં છેલ્લા બે દિવસથી થયેલા વરસાદને કારણે પ્રદૂષણના સ્તરમાં આંશિક રાહત જોવા મળી છે. રવિવારે સવારે 9 વાગ્યે AQI 150 નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં આવે છે. છેલ્લા સાડા ત્રણ મહિનામાં પ્રથમ વખત શનિવારે AQI આટલી નીચી સપાટીએ પહોંચ્યો છે. રવિવારે લઘુત્તમ તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.9 ડિગ્રી ઓછું છે. વરસાદને કારણે ધૂળના રજકણો બેસી જવાથી લોકોને શ્વાસ લેવામાં થોડી રાહત મળી છે.

