કોકરોચ જનતા પાર્ટી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ, CBI તપાસની અપીલ

સોશિયલ મીડિયા પર યુવા વર્ગમાં ભારે આકર્ષણ જમાવનારી વ્યંગાત્મક રાજકીય સંસ્થા કોકરોચ જનતા પાર્ટી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોર્ટની મૌખિક ટિપ્પણીઓનો કથિત દુરુપયોગ અને તેના વ્યાપારી શોષણ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ જ અરજીમાં નકલી ડિગ્રીઓનો ઉપયોગ કરીને વકીલાત કરી રહેલા કથિત નકલી વકીલોના મામલાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) જેવી સ્વતંત્ર સંસ્થા પાસે તપાસ કરાવવાની પણ અપીલ કરવામાં આવી છે.
બંધારણીય કાર્યવાહીનું વ્યાપારીકરણ ચલાવી લેવાય નહીં
અહેવાલ મુજબ, અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, આવી ઓનલાઈન સંસ્થાઓની પ્રવૃત્તિઓ બંધારણીય કાર્યવાહીને વેપારની વસ્તુ બનાવવાની સમાન છે અને તે ન્યાયિક સંસ્થાઓની પવિત્રતાને ઠેસ પહોંચાડે છે. "પ્રચાર, વ્યાપારી જોડાણ અને ડિજિટલ ડેટા માટે કોર્ટરૂમની મૌખિક અભિવ્યક્તિઓનો ઉપયોગ કરીને પ્રચાર ઝુંબેશ ચલાવવી એ બંધારણીય પ્રક્રિયાઓનું ખતરનાક વ્યાપારીકરણ દર્શાવે છે." કોર્ટરૂમની ટિપ્પણીઓનો પબ્લિક ડોમેનમાં પ્રચાર અને વ્યાપારી હેતુઓ માટે દુરુપયોગ થઈ રહ્યો હોવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
શું છે આ 'Cockroach Janta Party'?
કોકરોચ જનતા પાર્ટી આ જ મહિનાની શરૂઆતમાં એક વ્યંગાત્મક ઓનલાઈન રાજકીય ચળવળ તરીકે સામે આવી હતી. જેને સોશિયલ મીડિયા પર યુવા યુઝર્સનો ભારે સપોર્ટ મળ્યો છે. આ સ્પૂફ (મજાકિયા) પાર્ટી પોતાને આળસુ, બેરોજગાર અને ભૂલાઈ ગયેલા નાગરિકો માટે ભારતની સૌથી પ્રામાણિક રાજકીય પાર્ટી તરીકે ઓળખાવે છે. તે એવા ભારતીય યુવાનોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે જેઓ મુખ્ય પ્રવાહના રાજકારણથી અલિપ્ત અનુભવે છે.
પાર્ટીની શરૂઆત કેવી રીતે થઈ?
આ મૂવમેન્ટની શરૂઆત 16 મેના રોજ થઈ હતી. રિપોર્ટ અનુસાર, એક કોર્ટ સુનાવણી દરમિયાન કથિત રીતે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્ય કાંતે કથિત રીતે બેરોજગાર યુવાનોને પરજીવી અને વંદા લેખાવ્યા હતા. આ ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જોકે બાદમાં સીજીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે, મીડિયાના કેટલાક વર્ગો દ્વારા તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, યુવાનોએ આ શબ્દ પકડીને એક આખી ડિજિટલ પાર્ટી બનાવી દીધી. આ પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ બેરોજગારી પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે: "નોકરી વચ્ચેના ખાલી સમયની ઉજવણી કરવામાં આવશે, સવાલ નહીં — એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી માત્ર એક સામાજિક માન્યતા છે.

