નીટ પેપર લીક મામલે રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર-શિક્ષણમંત્રી પર તીખા પ્રહારો, કહ્યું સરકાર જવાબ આપવાના બદલે બચાવ કરવામાં લાગી

નીટ પેપર લીક મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યાં સુધી મજબૂત વ્યવસ્થા નહીં બને ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહારો કર્યા, અને કહ્યું કે કોંગ્રેસ ત્યાં સુધી શાંત નહીં બેસે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, અને પરીક્ષાની પદ્ધતિને પારદર્શક અને સુરક્ષિત નહીં બનાવે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાનો વીડિયો કર્યો શેર
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હૈદરાબાદના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પેપરલીકને લઈને નારેબાજી કરીને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સામે પણ વિદ્યાર્થીઓ નારેબાજી કરતા જોવા મળી રહ્યા છે.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે, લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હોય, 22 લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગ્યુ હોય અને વડાપ્રધાન ચૂપ રહે, તો એ વાત સ્પષ્ટ છે કે સરકાર જવાબ આપવાના બદલે બચાવ કરવામાં લાગી છે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે અને નીટ જેવા પેપરલીકને રોકવામાં મજબૂત અને ફુલપ્રુફ વ્યવસ્થા લાગુ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ યથાવત રહેશે. મહત્વનું છે કે, કોંગ્રેસ સતત નીટ-યુજી પરીક્ષા રદ્દ થવાને પગલે શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા બનાવી રાખવામાં નિષ્ફળ નીવડી છે.
1 વર્ષમાં પડી જશે NDA સરકારઃ રાહુલ ગાંધી
આ તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીને NDA સરકાર પાડવા વાળા નિવેદન પર પલટવાર કર્યો છે. નાગપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધીની વાતો માત્ર 'મુંગેરીલાલના હસીન સપના' જેવી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીનો દાવો છે કે મોદી સરકાર 1 વર્ષની અંદર પડી જશે તે સંપૂર્ણ કાલ્પનિક અને દિવાસ્વપ્ન સમાન છે. મહત્વનું છે કે નાગપુરમાં ગોદામ લોજિસ્ટીક પાર્કના ઉદ્ધાટન સમારોહમાં ફડણવીસ પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની નવી લોજિસ્ટીક્સ નીતિના કારણે નાગપુર દેશનું મુખ્ય લોજિસ્ટીક હબ બનવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રીએ એ પણ કહ્યુ કે આધુનિક લોજિસ્ટીક્સ પાર્ક બનવાથી ઉદ્યોગો પરનું ભારણ ઘટશે અને ભારતીય કંપનીઓ વૈશ્વિક સપ્લાય ચેનમાં અધિક પ્રતિસ્પર્ધી બનશે.

