વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સંબોધી જાહેર સભા, નાગરિકોને કરી 10 સંકલ્પ લેવાની અપીલ

હૈદરાબાદમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક સુરક્ષા માટે નાગરિકોને કેટલાક મહત્વના પગલાં ભરવા વિનંતી કરી છે. પીએમ મોદીએ કહ્યું, છેલ્લા બે મહિનાથી આપણા પડોશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેની ગંભીર અસર ભારત પર થઈ છે. આપણી પાસે તેલના મોટા કૂવા નથી, તેથી આપણે પેટ્રોલ-ડીઝલ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે. ભારતમાં સોનું માત્ર ઘરેણું નથી, પણ સુરક્ષા અને પરંપરાનું પ્રતીક છે. પરંતુ વર્તમાન વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિદેશી મુદ્રા બચાવવા અને સંસાધનોનો સંયમપૂર્વક ઉપયોગ કરવા આહવાન કર્યું છે.
શા માટે સોનાની ખરીદી ઘટાડવી જરૂરી?
ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે, જેના માટે અબજો ડોલરની વિદેશી મુદ્રા ખર્ચવી પડે છે. જો દેશવાસીઓ એક વર્ષ માટે સોનાની ખરીદી ઘટાડી દે, તો તેનાથી અનેક મોટા ફેરફારો આવી શકે છે
વેપાર ખાધમાં ઘટાડો: સોનાની આયાત ઘટતા દેશનું આયાત બિલ ઓછું થશે અને વિદેશી હૂંડિયામણની બચત થશે.
રૂપિયાની મજબૂતી: ડોલરની માંગ ઘટવાને કારણે ભારતીય રૂપિયા પરનું દબાણ ઘટશે.
ઉત્પાદક રોકાણ: સોનામાં નિષ્ક્રિય પડેલા નાણાં જો બેંક FD, SIP કે શેરબજારમાં રોકવામાં આવે, તો ઉદ્યોગોને મૂડી મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.
PM મોદીનો ઈંધણ બચાવવા પર ભાર
હૈદરાબાદમાં એક જનસભા દરમિયાન પીએમ મોદીએ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને તેલ સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કેટલાક સૂચનો કર્યા હતા.
વર્ક ફ્રોમ હોમ: ઈંધણ બચાવવા માટે ફરીથી વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાથમિકતા આપવી જોઈએ.
વિદેશી મુદ્રાની બચત: પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડીને મોંઘા ભાવે આયાત થતા ઈંધણ પાછળ ખર્ચાતી વિદેશી મુદ્રા બચાવવી એ દરેક નાગરિકની જવાબદારી છે.
વૈશ્વિક યુદ્ધની અસર: પડોશમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ખાતર અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે.
PM મોદીની જનતાને 10 મોટી અપીલ
1. વૈશ્વિક યુદ્ધની અસર: વૈશ્વિક સંઘર્ષોની ભારત પર ગંભીર આર્થિક અસર થઈ છે તે સમજવી જરૂરી છે.
2. તેલ સંકટ: સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી ઈંધણના સંસાધનોની તંગી છે.
3. વર્ક ફ્રોમ હોમ: ઈંધણ બચાવવા માટે ફરીથી 'વર્ક ફ્રોમ હોમ' અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાથમિકતા આપવી જોઈએ.
4. ઈંધણની બચત: પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ સંયમપૂર્વક કરવાનો સંકલ્પ કરો.
5. પબ્લિક ટ્રાન્સપોર્ટ: જ્યાં મેટ્રો કે અન્ય જાહેર પરિવહન ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરો.
6. કાર પૂલિંગ: જો ખાનગી વાહન જરૂરી હોય, તો વધુ લોકોને સાથે લઈને મુસાફરી કરો (Car Pooling).
7. વિદેશ પ્રવાસ ટાળો: એક વર્ષ સુધી વિદેશ ફરવા જવા કે ત્યાં લગ્નોમાં જવાનું ટાળો, તેના બદલે દેશમાં જ પર્યટન કરો.
8. વિદેશી મુદ્રાની બચત: બિનજરૂરી ખર્ચ ઘટાડી દેશની આર્થિક મજબૂતીમાં યોગદાન આપો.
9. સોનું ખરીદવાનું ટાળો: એક વર્ષ સુધી સોનું ન ખરીદવાનો સંકલ્પ લો.
10. આત્મનિર્ભરતા: એવા પગલાં ભરો જે ભારતને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે.
ભારતીયો માટે સોનાથી દૂર રહેવું સરળ નથી, કારણ કે તે ભાવનાઓ સાથે જોડાયેલું છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં વડાપ્રધાનની આ અપીલ દેશહિતમાં છે. જો રોકાણની સંસ્કૃતિ બદલાય અને લોકો ડિજિટલ વિકલ્પો તરફ વળે, તો ભારત આર્થિક રીતે વધુ સદ્ધર બની શકે છે.

