રાષ્ટ્રપતિ મુર્મુના ચશ્મા બચાવવા માટે અનોખો જુગાડ: વૃંદાવનમાં વાંદરાઓને ભગાડવા લાગશે લંગૂરના કટઆઉટ

મથુરા: ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં વાંદરાઓની મસ્તી હવે સુરક્ષા એજન્સીઓ (Security Agencies) માટે મોટો પડકાર બની ગઈ છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ એક અનોખો માર્ગ અપનાવ્યો છે. વાંદરાઓ ખાસ કરીને ચશ્મા છીનવી લેવા માટે કુખ્યાત હોવાથી, રાષ્ટ્રપતિની સુરક્ષા અને સુવિધા માટે લંગૂરના કટઆઉટ (Cutouts) અને વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કોઈ અવરોધ ન આવે તે માટે તંત્ર સજ્જ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 19 માર્ચથી વૃંદાવનની મુલાકાતે આવવાના છે. તેમના કાર્યક્રમ મુજબ તેઓ ઉડિયા બાબા આશ્રમ અને રામકૃષ્ણ મિશન હોસ્પિટલની મુલાકાત લેશે, તેમજ 21 માર્ચે ગોવર્ધન પરિક્રમા પણ પ્રસ્તાવિત છે. વૃંદાવનના મંદિરો અને બજારોમાં વાંદરાઓ ચશ્મા પહેરેલા લોકોને નિશાન બનાવી ઝપટ મારીને ચશ્મા છીનવી લે છે અને બદલામાં ખાવા-પીવાની ચીજોની માંગ કરે છે. રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન આવી કોઈ અસુવિધા ન સર્જાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
30 સભ્યોની ટીમ ગુલેલ અને લેસર લાઈટ સાથે રહેશે તૈનાત
આ સમસ્યાના ઉકેલ માટે વન વિભાગની 30 સભ્યોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ કર્મચારીઓ ગુલેલ, લાઠી અને લેસર લાઈટ જેવા સાધનો વડે વાંદરાઓ પર નજર રાખશે. અગાઉ આવા પ્રસંગોએ તાલીમબદ્ધ લંગૂર વાંદરાઓ લાવવામાં આવતા હતા, પરંતુ હવે કાયદાકીય મર્યાદાઓને કારણે માત્ર લંગૂરના કટઆઉટ લગાવીને વાંદરાઓને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. વહીવટીતંત્રને આશા છે કે આ અનોખા ઉપાયોથી રાષ્ટ્રપતિનો પ્રવાસ નિર્વિઘ્ન પૂર્ણ થશે.

