VIDEO: બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટી 'જન સૂરાજ'ના કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રશાંત કિશોર રાજકીય રીતે આક્રમક દેખાઈ રહ્યા છે. પટનામાં પ્રશાંત કિશોરના નેતૃત્વમાં જન સૂરાજ પાર્ટીના અનેક કાર્યકરોએ વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસા સત્ર દરમિયાન પોલીસે જન સૂરાજના કાર્યકરોને રોકવા માટે લાઠીચાર્જ કર્યો છે. પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી.
બિહારના પટનામાં પોલીસ અને જન સૂરાજ પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રશાંત કિશોર બિહાર વિધાનસભા તરફ કૂચ કરતા પ્રદર્શન કરી રહ્યા હતા, એ સમયે તેમની અને બિહાર પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
જણાવી દઈએ કે જન સૂરજના કાર્યકરો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા. જન સૂરાજ પાર્ટીની કૂચ ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કાઢવામાં આવી છે. સરકારની જાહેરાત છતાં ગરીબ પરિવારોને રોજગાર માટે 2 લાખ રૂપિયા કેમ ન મળ્યા? દલિત ભૂમિહીન પરિવારોને 3 દશાંશ જમીન કેમ ન મળી? અને જમીન સર્વેક્ષણમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર. આ ત્રણ મુદ્દે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જણાવી દઈએ કે જન સૂરાજ પાર્ટીએ પહેલાથી જ જાહેરાત કરી હતી કે તે ચોમાસુ સત્રમાં આ ત્રણ મુદ્દાઓ પર 1 કરોડ લોકોની સહીઓ લઈને વિધાનસભાનો ઘેરાવ કરશે.
પ્રશાંત કિશોરે શું કહ્યું
જન સૂરાજના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારના ૫૦ લાખથી વધુ બાળકો આ ગરમીમાં મજૂરી કરી રહ્યા છે. સરકાર કંઈ ધ્યાન આપતી નથી. જો આપણે સરકારને જગાડવી હોય તો આપણે રસ્તા પર ઉતરવું પડશે. અમે બસ જઈ રહ્યા છીએ, અને પોલીસ જે ઇચ્છે તે કરી શકે છે.
જણાવી દઈએ કે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને પ્રશાંત કિશોર પોતાની પાર્ટી સ્થાપિત કરવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. તેઓ લાંબા સમયથી રસ્તા પર ઉતરીને સામાન્ય માણસોના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.

