જગદીપ ધનખડના રાજીનામા બાદ PM મોદી થયા નારાજ, જાણો શું છે કારણ

જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામાં બાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. તેમણે રાજીનામાનું કારણ સ્વાસ્થ્ય સંબંધિત હોવાનું જણાવ્યું છે, પરંતુ આ નિર્ણયના સમયને લઈને વિપક્ષે સરકાર પર પ્રહારો શરૂ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યસભામાં Justice Varma સામે મહાભિયોગ લાવવાની વિપક્ષની નોટિસ સ્વીકાર્યાના થોડા સમય બાદ જ 2 કેન્દ્રીય મંત્રીઓએ ધનખડ સાથે વાત કરી હતી.
કયા 2 મંત્રીઓએ કરી હતી ધનખડ સાથે વાત ?
સુત્રો મુજબ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોમવારે એટલે કે 21 જુલાઈએ ધનખડ સાથે વાત કરી હતી. આ વાતચીત હાઇકોર્ટ ન્યાયાધીશ સામે મહાભિયોગ નોટિસ પર રાજ્યસભામાં ધનખડે આપેલા નિવેદન બાદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મહાભિયોગની નોટિસ પર 63 સાંસદોએ સહી કરી હતી. લોકસભામાં મહાભિયોગ પર સંમતિ બનાવવાની એક પ્રક્રિયા હોવાનું રિજિજુએ ધનખડને જણાવ્યું હતું. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નોટિસ પર સહી કરી છે. આ સાથે જ રિજિજુએ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન અચાનક બનેલી આ ઘટનાથી ખુશ નહોતા.
PM મોદી ધનખડથી નારાજ
અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રીએ સંકેત પણ આપ્યા હતા કે, PM નરેન્દ્ર મોદી આ નિર્ણયથી ખુશ નથી. તેના પર ધનખડેએ જવાબ આપતા કહ્યું હતું કે, તેમણે જે પણ કર્યું છે તે નિયમ હેઠળ જ કર્યું છે. સોમવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભામાં યોજાયેલી BAC એટલે કે Business Advisory Committeeની પહેલી બેઠક પછી આ ઘટના બની હોય તેવું મનાય છે. જ્યાં નેતાઓએ 4:30 વાગ્યે યોજાયેલી બીજી BAC બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો હતો. રાજ્યસભામાં Justice Varma સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાના નિર્ણયથી સરકાર ચોંકી ગઈ હતી. એવું કહેવાય છે કે સરકાર આ પ્રક્રિયા લોકસભા દ્વારા કરવા માંગતી હતી.

