પાન-મસાલાના શોખીનોને ઝટકો: FSSAI એ પ્લાસ્ટિક પેકેજિંગ પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ

FSSAI Pan Masala Packaging Rules : ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ (પેકેજિંગ) રેગ્યુલેશન્સ, 2018' માં સુધારો કરીને નવો 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ (પેકેજિંગ) એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, 2026' જારી કર્યો છે. આ નવા કાયદા હેઠળ પાન મસાલાના પેકિંગ માટે પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિક-લેમિનેટેડ સામગ્રીના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેની સીધી અસર ઉત્પાદક કંપનીઓ અને ગ્રાહકો બંને પર પડશે.
નવો નિયમ અમલી
FSSAI દ્વારા 10 ઓગસ્ટ 2026 ના રોજ સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન પ્રકાશિત થવાની સાથે જ આ નવો નિયમ અમલમાં આવી ગયો છે. ગેઝેટ નોટિફિકેશન અનુસાર હવેથી પાન મસાલાના પેકિંગમાં પોલીએથિલીન, પોલીપ્રોપીલીન, પોલીએસ્ટર, પીવીસી (PVC) કે અન્ય કોઈપણ પ્રકારના સિન્થેટિક પોલિમર અને લેમિનેટનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત એલ્યુમિનિયમ ફોઈલ અને મેટલાઈઝ્ડ લેયર પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ કાયદામાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 હેઠળ બનેલા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 ની જોગવાઈઓ પણ સમાન રીતે લાગુ પડશે.
હવે કેવા પ્રકારનું હશે નવું પેકેજિંગ?
પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઈલ પર પ્રતિબંધ બાદ કંપનીઓએ હવે પર્યાવરણને અનુકૂળ (ઈકો-ફ્રેન્ડલી) સામગ્રીનો ઉપયોગ કરવો પડશે. FSSAI એ પેકેજિંગ માટે કાગળ (પેપર), પેપર બોર્ડ, સેલ્યુલોઝ, ટિન અથવા કાચના બોક્સ કે ડિબ્બા જેવા કુદરતી વિકલ્પોનો ઉપયોગ કરવાનો સુઝાવ આપ્યો છે. તેથી આગામી સમયમાં બજારમાં પાન મસાલા નવી જ પેકિંગ શૈલીમાં જોવા મળશે.
ભાવ વધારા અને ગુણવત્તા પર અસર
કાગળ, ટિન કે કાચ જેવી ઈકો-ફ્રેન્ડલી સામગ્રી પ્લાસ્ટિક કરતાં મોંઘી હોવાથી કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચ વધશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે અને પાન મસાલાના ભાવ વધી શકે છે. આ સિવાય પ્લાસ્ટિક વગર પાન મસાલાની સેલ્ફ-લાઈફ (સાચવણીનો સમય) જાળવવી અને હેરફેર દરમિયાન માલને બગડતો અટકાવવો એ કંપનીઓ માટે મોટો પડકાર બનશે.

