VIDEO: વિપક્ષ નાટક બંધ કરે, દેશ ચલાવવા બિલ પાસ કરવા જરૂરી: સાંસદોના વિરોધ પ્રદર્શન અંગે કિરેન રિજિજુના આકરા પ્રહારો
સંસદના ચાલુ સત્ર દરમિયાન વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવી રહેલા હંગામા અને પ્રદર્શન વચ્ચે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષના હોબાળા છતાં દેશહિતના મહત્વપૂર્ણ બિલ પસાર કરવાની પ્રક્રિયા અટકશે નહીં.
"આરોપો મૂકવા એ કોંગ્રેસની જૂની આદત"
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના આરોપોને ફગાવતા જણાવ્યું હતું કે, "આરોપો લગાવવા એ કોઈ નવી વાત નથી. કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિપક્ષી દળો સતત આવા આરોપો લગાવતા રહે છે. આપણી મુખ્ય પ્રાથમિકતા સંસદ સમક્ષ મૂકવામાં આવેલા બિલ અને કામકાજને પૂર્ણ કરવાની છે. આખરે દેશ ચાલતો રહેવો જોઈએ. દેશના સંચાલન માટે કાયદા બનાવવા જરૂરી છે અને સંસદે બજેટ તથા અન્ય મહત્વપૂર્ણ બાબતો પસાર કરવી જ પડે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "જો હોબાળો ચાલુ રહે અને સરકાર પ્રદર્શનમાં જ ગૂંચવાયેલી રહીને બિલ પાસ ન કરે, તો સંસદનો હેતુ શું રહે? તેથી અમે બિલ પાસ કરવાનું ચાલુ રાખીશું. અમે આજે જ સ્પષ્ટ કરી દીધું છે કે પાછળથી કોઈ બહાર જઈને એવી ફરિયાદ ન કરે કે ચર્ચા વગર બિલ પાસ કરવામાં આવ્યા; આવા દવા ન થવા જોઈએ. અમે ચર્ચા માટે પૂરતો સમય આપ્યો છે."
પપ્પુ યાદવના પ્રદર્શન પર કટાક્ષ: "સંસદ નાટક કરવાની જગ્યા નથી"
સાંસદ પપ્પુ યાદવ દ્વારા વેશભૂષા બદલીને કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન પર ટિપ્પણી કરતા રિજિજુએ કહ્યું હતું કે, "સ્પીકરે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે વેશભૂષા બદલીને પ્રદર્શન કરવાની આ જગ્યા નથી. વ્યક્તિએ થોડી ગંભીરતા દર્શાવવી જોઈએ. જો તમે સંસદ સભ્ય (MP) છો, તો તમારે તે મુજબ જ વર્તન કરવું જોઈએ. આ નાટક (થિયેટ્રિક્સ) કરવાની જગ્યા નથી. સ્પીકરે આ અંગે સ્પષ્ટતા કરી દીધી હોવાથી મારે તેમાં વધુ કંઈ ઉમેરવાની જરૂર નથી."
"ચૂંટણી હારતા પક્ષો વિદ્યાર્થીઓ અને અન્યોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે"
સતત પરાજયનો સામનો કરી રહેલા રાજકીય પક્ષોને સલાહ આપતા સંસદીય બાબતોના મંત્રીએ જણાવ્યું કે, "મારું માનવું છે કે જે રાજકીય પક્ષો વારંવાર ચૂંટણી હારે છે, તેમણે અન્ય લોકોને કે વિદ્યાર્થીઓના મુદ્દાને ઢાલ બનાવીને સંસદના કામકાજમાં અડચણ ઉભી ન કરવી જોઈએ. જો તમે સખત મહેનત કરશો, તો જનતા તમને સમર્થન આપશે. પરંતુ મહેનત કરવાના બદલે જો તમે આવું વર્તન કરશો, તો સમર્થન ક્યાંથી મળશે? જનતા તમને ગંભીરતાથી લઈ શકે નહીં."
તેમણે સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા વધારવા સંબંધિત બિલનું ઉદાહરણ આપતા કહ્યું કે સંસદમાં રજૂ થતો દરેક બિલ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે.

