JDUના દિગ્ગજ નેતા KC ત્યાગીનું રાજીનામું, નીતિશ કુમાર રાજ્યસભામાં જતાં જ પાર્ટીને મોટો ઝટકો

બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નીતિશ કુમાર ચૂંટાઈને રાજ્ય સભામાં જતાંની સાથે જ JDUમાં ભંગાણ પડ્યું છે. પાર્ટીના અગ્રણી નેતા કેસી ત્યાગીએ પાર્ટી છોડી દીધી છે. રાજ્યસભા ચૂંટણીમાં નીતિશ કુમારની જીતના એક દિવસ પછી જ ત્યાગીએ પાર્ટી છોડી દેવાની જાહેરાત કરતાં ત્યાગીના આગામી પગલા અંગે રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ ગઈ છે. કેસી ત્યાગી શું બીજા પક્ષમાં જોડાશે કે પોતાનું રાજકીય સંગઠન સ્થાપિત કરશે.
છેલ્લા કેટલાક દિવસોથી પોતાના પક્ષ વિરુદ્ધ બોલવા બદલ ચર્ચામાં રહેલા કેસી ત્યાગીએ જનતા દળ (યુનાઇટેડ) માંથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પર રાજીનામું પત્ર શેર કરતા ત્યાગીએ સ્પષ્ટતા કરી કે, તેઓ JDUના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે અને ભવિષ્યમાં તેમનું સભ્યપદ નવીકરણ કરાવવાની માંગ કરશે નહીં. JDUને સોંપવામાં આવેલા રાજીનામા પત્રમાં ત્યાગીએ તેમની ભાવિ યોજનાઓની પણ રૂપરેખા આપી છે.
કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે, તેઓ 22 માર્ચે તેમના સમર્થકો સાથે બેઠક યોજવાનો ઇરાદો ધરાવે છે. ત્યાગીએ લખ્યું: "સમતા પાર્ટી અને જનતા દળના વિલીનીકરણ પછી 30 ઓક્ટોબર, 2003ના રોજ JDU અસ્તિત્વમાં આવ્યું. તે સમયે જ્યોર્જ ફર્નાન્ડિસે પ્રમુખ અને મેં તેમની સાથે મહાસચિવ તરીકે કામ કર્યું હતું. મેં શરદ યાદવ અને નીતિશ કુમારના નેતૃત્વમાં પણ સેવા આપી હતી. મેં પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને રાજકીય સલાહકાર તરીકે સેવા આપી હતી. હવે પાર્ટીનું સભ્યપદ પૂર્ણ થઈ ગઈ છે, અને મેં ફરીથી પાર્ટીનું સભ્યપદ લીધું નથી. નીતિશ કુમાર પ્રત્યેનો મારો આદર અકબંધ છે.
યુપી રાજકારણમાં થઈ શકે છે સક્રિય
સૂત્રો અનુસાર, કેસી ત્યાગી હવે ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય થવાનો ઇરાદો ધરાવે છે. એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં ત્યાગી પોતાને એક નવા રાજકીય પક્ષ સાથે જોડશે.

