NEET UG રીટેસ્ટ: "બધા વિદ્યાર્થીઓ કેમ ફરીવાર આપે પરીક્ષા?" જાણો CJI સૂર્યકાંતે આનો શું આપ્યો જવાબ!

નીટ (NEET) પરીક્ષાને લઈને નવી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. નીટ પેપર લીક મામલા બાદ ૨૧ જૂને ફરીથી NEET-UG પરીક્ષા યોજાવા જઈ રહી છે, જેને લઈને એક અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પેપર લીકના આક્ષેપો બાદ આશરે ૨૨ લાખ વિદ્યાર્થીઓને નવેસરથી પરીક્ષા આપવા માટે કહેવું ખોટું છે. ગેરરીતિ માત્ર થોડા લોકો અને પરીક્ષા કેન્દ્રો પૂરતી જ સીમિત હતી. જો કે, મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે નીટ સંબંધિત મામલાઓની સુનાવણી બીજી બેંચ કરી રહી છે. આ કેસ પણ જુલાઈ મહિનામાં એ જ બેંચ સમક્ષ મૂકવામાં આવશે.
આ વર્ષે ૩ મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાને પેપર લીકની માહિતી સામે આવ્યા બાદ ૧૨ મેના રોજ રદ કરવામાં આવી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને ભંગ કરવા અથવા તેના માળખામાં મોટો સુધારો કરવા જેવી અનેક માંગણીઓ કરવામાં આવી છે. આ અરજીઓ પર જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેંચ સુનાવણી કરી રહી છે.
1 જૂનના રોજ પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પેપર-પેનના બદલે કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) મોડમાં પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી ફગાવી દેતા કહ્યું હતું કે હવે પરીક્ષામાં ઘણો ઓછો સમય બચ્યો છે.
કોર્ટે પરીક્ષાના અધિકારીઓ પરના વર્તમાન દબાણ અને વ્યવહારિક મુશ્કેલીઓનો હવાલો આપ્યો હતો. કોર્ટે કહ્યું, "અમે અગાઉ પણ આવી અરજીઓ ફગાવી ચૂક્યા છીએ. પરીક્ષા રદ થયા બાદ તેનું ફરીથી આયોજન કરવામાં વહીવટીતંત્ર સામે એવા જ દબાણો અને પડકારો છે. આવી સ્થિતિમાં અત્યારે કોઈ આદેશ આપવો યોગ્ય રહેશે નહીં."
બીજી તરફ, ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાના વિરોધમાં મેસેજિંગ એપ ટેલિગ્રામે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. 16 જૂનના રોજ સરકારે પરીક્ષા સંબંધિત છેતરપિંડી રોકવા માટે એક મોટા પગલા તરીકે દેશમાં મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર 22 જૂન સુધી કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણયને ટેલિગ્રામે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.

