અરૂણાચલ પ્રદેશમાં પૂર્વજોની જમીન પર ચીનના લશ્કરે કબજો કર્યો હોવાનો નાહ આદિજાતિ સંગઠનનો મોટો ઘટસ્ફોટ

અરૂણાચલ પ્રદેશના અપર સુબનસિરીના ડેપ્યુટી કમિશ્નરને નાહ વેલ્ફેર સોસાયટીએ એક આવેદનપત્ર આપ્યું છે. એમાં દાવો કર્યો છે કે તેમના પૂર્વજોની જમીનો પર ચીને કબજો જમાવી લીધો છે અને ત્યાં લશ્કરી ગતિવિધિ વધારી છે. આ આદિજાતિના સંગઠને દાવો કર્યો કે છેલ્લાં 10-15 વર્ષથી જ ચીને પહાડી વિસ્તારોમાં ગતિવિધિ વધારી હતી, પરંતુ 2020 પછી તીવ્ર ઝડપે આખા વિસ્તારને હડપવાનું શરૂ કર્યું છે. ચીનના લશ્કરે ભારતની સરહદમાં રસ્તાઓ બનાવી નાખ્યાનો દાવો આ આવેદનપત્રમાં થયો છે.
નાહ આદિજાતિએ પાંચ સ્થળો પર ચીને કબજો જમાવી લીધાનો સનસનીખેજ દાવો કર્યો છે. આ બધી જ જગ્યા તેમના ગામડાં અને પશુઓ ચારવાના સ્થળો છે. અરૂણાચલ પ્રદેશના અપર સુબનસિરીના તાક્સિંગ વિસ્તારમાં આ સ્થળો આવેલા છે અને તે રેવન્યૂ સર્કલ હેઠળ આવે છે. નાહ વેલ્ફેર સોસાયટીએ આવેદનપત્રમાં કહ્યું હતું - આ આખો વિસ્તાર અમારા પૂર્વજોની જમીન છે. અમે ત્યાં થોડા વર્ષો પહેલાં સુધી છૂટથી જઈ આવી શકતા હતા. પશુઓ ચરાવવા જતા હતા, પરંતુ હવે ચીનના કબજાના કારણે અમારું આવવું-જવું મુશ્કેલ બન્યું છે. આમાંથી ઘણાં વિસ્તારો દુર્ગમ જંગલો છે. અમે જંગલની ઘણી પેદાશોથી જીવન નિર્વાહ કરતા હતા, પણ હવે અમારી જમીન ચીનના લશ્કરે પચાવી પાડી છે. તેમનો દાવો છે કે દરરોજ થોડા થોડા ઈંચ જમીન ચીનનું લશ્કર હડપી લે છે.
દરમિયાન એક્સપર્ટ્સે બીજી ચેતવણી પણ આપી છે. ચીને તિબેટના માધ્યમથી હિમાલયની નદીઓને કબજે કરવાનો મનસૂબો ઘડયો હોવાનું કહેવાય છે. ડિફેન્સ એક્સપર્ટ બ્રહ્મા ચેલાનીને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો કે ચીને હિમાલયની પેલે પાર તિબેટમાંથી નદીઓને અંકુશમાં લેવાનો કારસો ઘડયો છે. ત્યાંથી ભારતમાં વહેતી નદીઓના પાણીને કાબૂ કરીને ચીન ભારતમાં પાણીની અછત સર્જી શકે તેવી ભીતિ છે. તિબેટ દુનિયાની છત કહેવાય છે. તિબેટ પર ચીને કબજો જમાવીને હિમાલયન રિસોર્સને કંટ્રોલ કરવાની પેરવી શરૂ કરી છે.
ચીન સાથે સરહદે રોજ ત્રણ વાર સામનો થાય છે: સૈન્ય વડા
સૈન્યના વડા ઉપેન્દ્ર દ્વિવેદી નિવૃત્ત થઈ રહ્યા છે. 30મી જૂન એટલે કે આજે તેમનો સેવાનો છેલ્લો દિવસ છે. એ પહેલાં તેમણે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં તેમણે કહ્યું કે તેનાથી ભારતમાં ન્યૂ નોર્મલ સ્થાપિત થયો છે અને વિશ્વને ભારતની લશ્કરી શક્તિનો એક સ્પષ્ટ મેસેજ મળ્યો છે. તેમણે આતંકવાદને ઉત્તેજન આપતા પાકિસ્તાનના સંદર્ભમાં કહ્યું કે આતંકવાદ સામે ભારત આક્રમક જવાબ આપવા સક્ષમ છે. સૈન્ય વડાએ ચીન વિશે પણ નિવેદન આપ્યું હતું કે ચીનની સરહદે સ્થિતિ ઘણી સ્થિર છે. જોકે, સંવેદનશીલ પરિસ્થિતિ હોવાથી સતર્કતા જરૂરી છે. બંને તરફ અમુક વિવાદો અને અમુક ગેરસમજો દૂર કરવા માટે વર્ષે ૧૧૦૦ વખત મુલાકાત થાય છે. તે હિસાબે રોજ ત્રણ વખત ચીન સાથે આમનો-સામનો થાય છે.

