Mumbai news: ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ટળી, ઈન્ડિગો વિમાનનો પાછળનો ભાગ રન-વેને અથડાયો

Mumbai news: શનિવારે(16 ઓગસ્ટ) મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રન-વેને સ્પર્શી ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ઘટનાની તપાસ કરવા જણાવ્યું છે. અહેવાલ મુજબ, એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ઓછી ઊંચાઈએ ગો-અરાઉન્ડ કરતી વખતે ઈન્ડિગોના એરબસ A321ની ટેલ રનવે સાથે અથડાઈ હતી. DGCAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'અમે ઘટનાની તપાસ કરીશું. આ માટે ઔપચારિક આદેશ જારી કરવામાં આવી રહ્યો છે.'
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફ્લાઇટ 6E 1060 હતી, જે બેંગકોકથી મુંબઈ આવી રહી હતી અને A321 Neo એરક્રાફ્ટ દ્વારા સંચાલિત હતી. શનિવારે સવારે 3:06 વાગ્યે રન-વે 27 પર લેન્ડિંગ કરતી વખતે વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. પ્રારંભિક તપાસમાં માનવામાં આવે છે કે આ ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી. આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ સભ્યને ઈજા થઈ નથી.
ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, '16 ઓગસ્ટ, 2025ના રોજ ઇન્ડિગોના એરબસ A321 વિમાનનો પાછળનો ભાગ ખરાબ હવામાનને કારણે ઓછી ઊંચાઈ પર ફરતી વખતે રનવે સાથે અથડાઈ ગયો હતો. ત્યારબાદ વિમાને ફરીથી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો અને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. માનક પ્રક્રિયા મુજબ, વિમાનનું નિરીક્ષણ/તપાસ કરવામાં આવશે અને નિયમનકારની મંજૂરી પછી જ તે ફરીથી ઉડાન ભરશે.'
પ્રવક્તાએ એમ પણ કહ્યું, 'ઇન્ડિગોમાં અમારા ગ્રાહકો, ક્રૂ અને વિમાનની સલામતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે આ ઘટનાથી થતી કોઈપણ અસરને ઓછી કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.'
એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને DGCAને તેના વિશે જાણ કરવામાં આવી છે. જોકે, એરલાઇન કે ક્રૂએ ATC (એર ટ્રાફિક કંટ્રોલ) ને ઘટનાની જાણ કરી ન હતી.

