મનીષ સિસોદિયાએ ગુજરાતની સ્કૂલોનો ઉઠાવ્યો મુદ્દો, કહ્યું- દુનિયા સાથે મુકાબલો કેવી રીતે કરીશું

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાએ ગુજરાતની સ્કૂલોની જર્જરીત હાલતને લઇને પ્રહાર કર્યા છે. મનીષ સિસોદિયાએ ઉત્તર ગુજરાતની સ્કૂલોની વાસ્તવિક સ્થિતિને લઇને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.
મનીષ સિસોદિયાએ ઉઠાવ્યો ગુજરાતની સ્કૂલોની સ્થિતિનો મુદ્દો
મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, 'ગુજરાતના અનેક જિલ્લાઓમાં શાળાઓની હાલત ગંભીર, જર્જરિત વર્ગખંડો અને સુવિધાઓના અભાવે સરકારી શાળાના બાળકો ખુલ્લા આકાશ નીચે અને કોઠારમાં ભણવા મજબૂર છે! જો ભવિષ્યના ભારતનો પાયો આટલો જ નબળો હશે તો આપણે દુનિયા સાથે કેવી રીતે મુકાબલો કરી શકીશું. તેથી શિક્ષણને પ્રાથમિકતા આપતી સરકારને ચૂંટવી જરૂરી છે.'
આ પણ વાંચો: અમદાવાદ ભાજપના 2 નેતાઓને અપાઇ સિક્યુરિટી, ગેરકાયદેસર બાંધકામને લઇને સતત ઉઠાવી રહ્યાં છે અવાજ
ઉત્તર ગુજરાતમાં અનેક સ્કૂલમાં બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર
ઉત્તર ગુજરાતના ગામડાઓમાં આવેલી સરકારી શાળાઓમાં જર્જરિત ઓરડાને કારણે બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર છે. ઉત્તર ગુજરાત જ નહીં પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ કેટલીક સ્કૂલો એવી છે જેમાં બાળકો શિયાળાની ઠંડીમાં જર્જરિત ઓરડાને કારણે ખુલ્લામાં ભણવા મજબૂર છે. અન્ય કેટલીક જગ્યાએ શિક્ષકોની પણ ઘટ જોવા મળી રહી છે.

