અમદાવાદ ભાજપના 2 નેતાઓને અપાઇ સિક્યુરિટી, ગેરકાયદેસર બાંધકામને લઇને સતત ઉઠાવી રહ્યાં છે અવાજ

અમદાવાદમાં ભાજપના બે નેતાઓને સિક્યુરિટી આપવામાં આવી છે. એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપના અધ્યક્ષ અમિત શાહને સિક્યુરિટી આપવામાં આવી છે. આ સિવાય ભાજપના નેતા અને શહેરના મહામંત્રી ભૂષણ ભટ્ટને પણ પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે કેટલાક સમયથી બન્ને નેતાઓ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણને લઇને અવાજ ઉઠાવી રહ્યાં છે.
AMCમાં 20 વર્ષથી ભાજપનું શાસન થતા નેતાઓની ગેરકાયદે બાંધકામની ફરિયાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે. આમ છતાં ભાજપના નેતાઓને ગેરકાયદેસર બાંધકામ તોડવા અંગે શહેરના મેયરને ફરિયાદ કરવી પડે છે. જમાલપુરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં સાત માળ સુધીનું ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું હોવા અંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મેયરને લેખિત પત્રથી રજૂઆત કરી છે.આ સિવાય અમિત શાહે અગાઉ જમાલપુરમાં ગેરકાયદે કબાડી માર્કેટ અને એક બંધ પડેલી મ્યુનિસિપલ શાળા નજીક ગેરકાયદે બાંધકામ થયાની ફરિયાદ કરી હતી.
જમાલપુર અને રિવરફ્રન્ટ ખાતે ગેરકાયદે બાંધકામ દૂર કરવા લખ્યો પત્ર
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું હોવાના આક્ષેપ સાથે સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી. હવે તેમણે જમાલપુર અને રિવરફ્રન્ટ ખાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા AMCના ભાજપ નેતાને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ : MLA અમિત શાહે જમાલપુર અને રિવરફ્રન્ટ ખાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા AMCના ભાજપ નેતાને લખ્યો પત્ર
ભાજપ બે દાયકાથી સત્તામાં છતાં અધિકારીઓ ઉપર અંકુશ નહીં
વર્ષ 2005થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા સ્થાને છે. એલિસબ્રિજના ધારાસભ્ય પોતે શહેરના મેયર, પક્ષ નેતા ઉપરાંત AMTSના ચેરમેન પણ રહી ચુક્યા છે. હાલમાં શહેર પ્રમુખ હોવા ઉપરાંત ધારાસભ્ય હોવા છતાં ગેરકાયદેસર બાંધાકમ તોડવા પોતાના જ પક્ષના મેયરને રજૂઆત કરવી પડી હોય તો એનો અર્થ એ છે કે મ્યુનિસિપલ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપર સત્તાધારી પક્ષ કે તેના હોદ્દેદારોનો કોઇ અંકુશ નથી. તંત્રએ ધ્યાન જ નથી રાખ્યું કે પોતાની માલિકીના પ્લોટમાં પણ ગેરકાયદે બાંધકામો થઇ ગયાં છે.

