મમતા બેનર્જી ચેરપર્સન પદેથી હટાવાયા, TMC પર બળવાખોર જૂથનો દાવો, તૃણમૂલ કોંગ્રેસમાં ઐતિહાસિક ભંગાણ

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલી રાજકીય સંકટ વચ્ચે સોમવારે એક બહુ મોટો વળાંક આવ્યો છે. ઉલુબેરિયા પૂર્વના ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથે મમતા બેનર્જીને પાર્ટીના ચેરપર્સન પદેથી હટાવવાની અને અભિષેક બેનર્જીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જૂથે પોતાને જ 'અસલી તૃણમૂલ કોંગ્રેસ' ગણાવી નવી સંગઠનાત્મક સમિતિની રચના કરી છે, અને હાવડા મધ્યના વરિષ્ઠ ધારાસભ્ય અરૂપ રોયને પોતાના નવા ચેરમેન નિયુક્ત કર્યા છે.
ત્રણ ભાગમાં વહેંચાઈ પાર્ટી: આ રાજકીય ભૂકંપ બાદ TMC હવે ત્રણ જૂથમાં વહેંચાયેલી જોવા મળી રહી છે. પહેલું મમતા બેનર્જીનું જૂથ, બીજું ઋતબ્રત બેનર્જીનું બળવાખોર જૂથ (જે હવે બંગાળ વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા ભજવશે), અને ત્રીજું કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં આશરે બે ડઝન લોકસભા સાંસદોનું જૂથ, જેમણે 'નેશનલ સિટીઝન્સ પાર્ટી' માં વિલીનીકરણ કરીને સંસદમાં NDA સરકારને ટેકો આપ્યો છે.
બેંક ખાતા સીલ અને સિમ્બોલ પર દાવો: બળવાખોર જૂથે પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન (સિમ્બોલ) પર પોતાનો હક સાબિત કરવા સુપ્રીમ કોર્ટમાં જવાના સંકેત આપ્યા છે. આ દરમિયાન, બળવાખોર ધારાસભ્યોની પોલીસ ફરિયાદ બાદ TMCના ત્રણ બેંક ખાતામાં જમા આશરે ₹440 કરોડના ફંડ પર ડેબિટ ફ્રીઝ (રોક) લગાવી દેવામાં આવી છે.
બળવાખોર જૂથનો દાવો છે કે, પાર્ટીના બંધારણ મુજબ દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિની પુનઃરચના કરવી જરૂરી છે, જે ફેબ્રુઆરી 2022 પછી કરવામાં આવી નથી. ન્યૂ ટાઉનની એક હોટલમાં યોજાયેલી આ બેઠકમાં બળવાખોર ધારાસભ્યો સહિત કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) અને અન્ય 3 જિલ્લાના 70 કાઉન્સિલરોએ ભાગ લીધો હતો.

