VIDEO : મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠક પરથી નોંધાવી ઉમેદવારી, 800 મીટર પદયાત્રા કરી કર્યું શક્તિપ્રદર્શન
પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે ભવાનીપુર સીટથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું છે. ઉમેદવારી નોંધાવતા પહેલા સીએમ મમતા બેનર્જીએ પદયાત્રા કરી. આ દરમિયાન મોટી સંખ્યામાં ટીએમસી નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. ઉમેદવારી દાખલ કર્યા પછી મમતા બેનર્જીએ કહ્યું કે હું લોકોને અપીલ કરું છું કે માત્ર ભવાનીપુર જ નહીં પરંતુ બંગાળની તમામ 294 સીટો પર તે ટીએમસીની જીત નક્કી કરે. તેમણે કહ્યું કે મને બહુ મોટું દુખ છે કે એસઆઈઆર દરમિયાન બંગાળના મતદાર યાદીમાંથી મોટા પ્રમાણમાં મતદાતાઓના નામ હટાવી દેવાયા છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જી જ્યારે કાલિઘાટ સ્થિત તેમના નિવાસસ્થાનેથી નામાંકન પત્ર ભરવા નીકળ્યા ત્યારે સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી. પોતાની આગવી શૈલીમાં હાથ જોડીને રસ્તાની બંને બાજુ ઉભેલા કાર્યકરોનું અભિવાદન ઝીલી મમતા બેનર્જી લગભગ 800 મીટર પગપાળા ચાલીને અલીપુર સર્વે બિલ્ડિંગ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિધિવત ઉમેદવારી નોંધાવી હતી.
જનતાને કરી અપીલ અને મતદાર યાદી મુદ્દે વ્યક્ત કરી નારાજગી
નામાંકન દાખલ કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું, "હું લોકોને અપીલ કરું છું કે તેઓ માત્ર ભવાનીપુર જ નહીં, પરંતુ બંગાળની તમામ 294 બેઠકો પર TMCની જીત સુનિશ્ચિત કરે." આ સાથે જ તેમણે મતદાર યાદી મુદ્દે ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું કે, "મને એ વાતનું ખરેખર દુઃખ છે કે સર્વે દરમિયાન બંગાળની મતદાર યાદીમાંથી આટલા બધા નામ હટાવી દેવામાં આવ્યા છે."
શુભેન્દુ અધિકારી સાથે થશે સીધો જંગ
ભવાનીપુર બેઠક પરથી ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂકેલા મમતા બેનર્જીનો મુકાબલો ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે થશે. ઉલ્લેખનીય છે કે શુભેન્દુ અધિકારીએ ગયા અઠવાડિયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં શક્તિપ્રદર્શન સાથે પોતાનું નામાંકન ભર્યું હતું. આ બેઠક હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે અને 2026ની વિધાનસભા ચૂંટણીનું પ્રતીકાત્મક કેન્દ્ર માનવામાં આવી રહી છે.
'મિની ઈન્ડિયા' ગણાય છે ભવાનીપુર
રાજકીય પક્ષો ભવાનીપુરને ઘણીવાર 'મિની ઈન્ડિયા' તરીકે ઓળખાવે છે કારણ કે અહીં વિવિધ ધર્મો અને પ્રાંતના લોકો વસે છે. આ મતવિસ્તારમાં બંગાળી મધ્યમ વર્ગના પરિવારો ઉપરાંત મોટી સંખ્યામાં મારવાડી, ગુજરાતી, પંજાબી, શીખ અને જૈન વસ્તી રહે છે.

