તમિલનાડુમાં 'ફ્લોર ટેસ્ટ' પહેલા જ ખળભળાટ, મદ્રાસ હાઈકોર્ટે TVK ધારાસભ્યને વોટિંગમાંથી કર્યા બહાર

તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા અને હવે મુખ્યમંત્રી બનેલા વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ને મંગળવારે મોટો ઝટકો લાગ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે તિરુપત્તુર વિધાનસભા બેઠક પરથી માત્ર એક મતના અંતરથી જીતેલા TVK ધારાસભ્ય આર. શ્રીનિવાસ સેતુપતિના વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પર રોક લગાવી દીધી છે. મહત્વની વાત એ છે કે, હવે શ્રીનિવાસ ફ્લોર ટેસ્ટમાં મતદાન કરી શકશે નહીં, જે વિજય માટે સારા સમાચાર નથી.
હકીકતમાં, ડીએમકે (DMK) ના વરિષ્ઠ નેતા કે.આર. પેરિયાકરપ્પને શ્રીનિવાસની એક મતની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અગાઉ 4 મે 2026 ના રોજ જાહેર થયેલા પરિણામોમાં પેરિયાકરપ્પન માત્ર એક મતથી ચૂંટણી હારી ગયા હતા. પેરિયાકરપ્પને આક્ષેપ કર્યો છે કે, તેમના મતવિસ્તારનું એક પોસ્ટલ બેલેટ ભૂલથી બીજા તિરુપત્તુર જિલ્લામાં મોકલી દેવામાં આવ્યું હતું અને ત્યાં તેને રદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઈવીએમ (EVM) ના આંકડા અને ચૂંટણી પંચની વેબસાઈટ પર નોંધાયેલા આંકડામાં પણ 18 મતોનો તફાવત જોવા મળ્યો છે.
નોંધનીય છે કે ચૂંટણીમાં શ્રીનિવાસ સેતુપતિને 83,365 મત મળ્યા હતા, જ્યારે પૂર્વ મંત્રી પેરિયાકરપ્પનને 83,364 મત મળ્યા હતા. ત્યારબાદ સેતુપતિને એક મતના અંતરથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પોતાની અરજીમાં પૂર્વ મંત્રી પેરિયાકરપ્પને મતોની ફરીથી ગણતરી કરવા અને શ્રીનિવાસ સેતુપતિને ધારાસભ્ય તરીકે શપથ લેતા રોકવા માટે વચગાળાનો આદેશ આપવાની વિનંતી કરી હતી.
હાઈકોર્ટે શું આદેશ આપ્યો?
અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ વિક્ટોરિયા ગૌરી અને એન. સેંથિલકુમારની બેંચે માન્યું છે કે, આ મામલામાં પ્રથમ દૃષ્ટિએ ગેરરીતિ જણાઈ રહી છે. હાઈકોર્ટે વચગાળાનો આદેશ જારી કરતા કહ્યું કે સેતુપતિ આગામી આદેશ સુધી વિધાનસભાની કોઈપણ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. તેઓ વિશ્વાસ મત, અવિશ્વાસ પ્રસ્તાવ કે કોઈપણ ફ્લોર ટેસ્ટમાં મતદાન કરી શકશે નહીં. હાઈકોર્ટે ચૂંટણી પંચને તિરુપત્તુર મતવિસ્તારના તમામ દસ્તાવેજો, સીસીટીવી ફૂટેજ અને રદ કરાયેલા પોસ્ટલ બેલેટને સીલ કરી સુરક્ષિત રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.
જણાવી દઈએ કે, સી. જોસેફ વિજયના નેતૃત્વવાળી TVK સરકાર મુખ્યમંત્રી અને મંત્રીમંડળના શપથ ગ્રહણના ત્રણ દિવસ બાદ બુધવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા જઈ રહી છે. એવામાં હાઈકોર્ટનો આ આદેશ વિજય માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હાલમાં 234 બેઠકો વાળી તમિલનાડુ વિધાનસભામાં TVK ગઠબંધન પાસે 120 ધારાસભ્યો છે અને બહુમતી માટે 118 નો આંકડો જરૂરી છે. સેતુપતિ બહાર થવાથી ગઠબંધન પાસે માત્ર 119 અસરકારક મતો જ રહેશે. જો આગામી દિવસોમાં ગઠબંધનના એક કે બે ધારાસભ્યો આમતેમ થયા તો વિજય સરકાર માટે બહુમતિ સાબિત કરવી અત્યંત મુશ્કેલ બની શકે છે.

