Jammu- Kashmirમાં ભૂસ્ખલન, રામનગરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તેમના દીકરાનું મોત

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં શુક્રવારે એક દુઃખદ અકસ્માતમાં રામનગરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) રાજિંદર સિંહ અને તેમના દીકરાનું મોત નિપજ્યું છે. આ અકસ્માત સલુખ ઇખ્તર નાળા વિસ્તાર પાસે થયો હતો, જ્યારે તેમની ગાડી (બોલેરો) ભૂસ્ખલનની ચપેટમાં આવી ગઈ હતી. રાજિંદર સિંહ જમ્મુ-કાશ્મીર વહીવટી સેવા (JKAS)ના અધિકારી હતા.
પોલીસે આપી જાણકારી
પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર સાથે ધર્મારીથી પોતાના પૈતૃક ગામ પટ્ટિયા પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન અચાનક ભૂસ્ખલનમાં ગાડી કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. અકસ્માતમાં SDMની પત્ની અને બે સંબંધી ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ગંભીર રૂપે ઈજાગ્રસ્તોને રિયાસી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ઉપરાજ્યપાલે વ્યક્ત કર્યું દુઃખ
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુ- કાશ્મીરમાં થયેલા ભૂસ્ખલન પર શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે એસડીએમ રાજિન્દર સિંહના પરિજનો પ્રતિ સંવેદના અને સહાનુભૂતિ પ્રકટ કરી છે. સાથે જ વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે વાત કરી ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા અને મૃતક અધિકારીઓના પરિજનોને દરેક સંભવ સહાય ઉપલબ્ધ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
મનોજ સિન્હાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ભૂસ્ખલનની ઘટનાથી અત્યંત દુઃખી છું, જેમાં અમે એક શ્રેષ્ઠ અધિકારી રાજિંદર સિંહ (JKAS 2011), SDM રામનગર અને તેમના દીકરાને ગુમાવી દીધો. આ અકસ્માત હ્રદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવાર માટે મારી ઊંડી સંવેદના છે. હું પ્રાર્થના કરૂ છું કે, ઈજાગ્રસ્ત જલ્દી સ્વસ્થ થઈ જાય.
લોકોને સતર્ક રહેવાની કરી અપીલ
વળી, વહીવટી તંત્રએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે, ખરાબ હવમાનના કારણે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનનું જોખમ બનેલું છે. તેથી લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

